મુંબઈમાં વ્યાખ્યાન ચાલી રહ્યું છે. વલ્લભ સંપ્રદાયના ટોળાએ ઈંટ, પત્થર અને ધુળના પ્રહારો સ્વામીજીના માથા પર શરૂ કરી દીધા. સહુએ સ્વામીજીને વ્યાખ્યાન બંધ કરવાની સલાહ દીધી. જવાબમાં સ્વામીજી બોલ્યા:
“મારાં ભાંડુઓએ ફેંકેલા ઇંટ પત્થર તો મારે મન ફૂલોની વૃદ્ધિ સમાન છે. બાકી વ્યાખ્યાન તો ઉચિત સમયે જ સમાપ્ત કરીશ; અધૂરું તો નહિ મેલાય. ભલે પત્થરો વરસતા.'
માર સહેતાં સહેતાં સ્વામીજીએ બરાબર મુકરર સમયે જ વ્યાખ્યાનની સમાપ્તિ કરી.
૧૮૭૫માં ન્યાયમૂર્તિ સ્વ. મહાદેવ ગોવિન્દ રાનડેએ સ્વામીજીને પૂનામા નિમંત્ર્યા. ત્યાં જઈને સ્વામીજીએ પંદર વ્યાખ્યાનો દીધા. વિદાયને દિવસે પ્રજાએ પાલખીમાં વેદ પધરાવી, હાથીને હોદ્દે સ્વામીજીને બેસાડી, ધર્મ–સવારી કાઢી. નગરની બદમાસ ટાળીએ આની સાથોસાથ 'ગર્દભાનંદ સવારી' ચડાવી કોલાહલ કર્યો. અપશબ્દોની ઝડી વરસાવી વરસાદમાં ભીંજેલી પરતી પરથી કાદવ ઉપાડી ઉપાડીને છાંટ્યો. સ્વામીજી અને સ્વ. જસ્ટીસ રાનડે, બન્ને જણા કાદવમાં ખરડાયા. જસ્ટીસ રાનડેએ હુકમ આપ્યો હોત તો પલકમાં એ ટાળું તુરંગનાં દ્વાર દેખત. પણ સ્વામીજીએ હસીને કહ્યું “રાનડેજી, કશી ચિન્તા નહિ, કશું યે કષ્ટ આ બાપડાઓને દેશો નહિ.”
મિરજાપૂરમાં છોટુગિર નામનો એક ગુંસાઈ રહેતો હતો. ભારી જલદ પ્રકૃતિનો એ આદમી હતો. એક વખત એ જબરદસ્ત ટોળું લઈને સ્વામીજીના મુકામ પર ચડી આવ્યો. આવતાંની વાર જ સ્વામીજીના પગ ઉપર પગ રાખીને એ તો બેસી ગયો અને ફાવે તેમ બકવાદ કરવા લાગ્યો.