પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૨૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

'સખે! મેવાડે તો મુજ હ્રદય આ ના ઠરી શક્યું,
'મનાઈ ત્યાંથી મ્હેં ગૃહ ભણી જવાનું નકી કર્યું;
'નિમિત્તો એ સર્વે! મુજ ગૃહ કશું ના જગતમાં,
'પ્રભુ પાસે જાવા મુજ હ્રદયનું વાંચ્છિત હતું.

'ચડે છે શંભુની ઉપર યવનો એ ગિઝનવી,
'હજુ ક્ષત્રી સામે મહમુદ દિસે હામ ભીડતો;
'કદી ક્ષત્રીબચ્ચો સહન કરતો ના સુઈ રહી,
'નકી એ મ્લેચ્છો સૌ અણસમજુ છે બાલક હજી.

'અહો! કિન્તુ એવો સમય મળવો ના સહજ છે,
'મહાયુદ્ધો એવાં નયન સદ્ભાગી જ નિરખે;
'સખે! ગંગા જેવું યવનરુધિરે સ્નાન કરવું,
'અને શંભુ પાસે નિજ રુધિરનું અર્પણ થવું.

'સ્વદેશી ખડ્ગો જે સુભટકરની છે મગરૂરી,
'સખે! ત્યાં તેનો છે પ્રલયઉદધિ કો ઉછળવો;
'મહાભાગી કો એ ઉદધિ તણું મોજું થઈ શકે,
'ગડેડાટોમાં એ વિરલ વિરલા બાહુ મળશે.

'હજારો સ્વપ્નોથી મુજ હ્રદય ત્યાં છે ઉછળિયું,
'મહા એ દાવામાં ચિનગી બનવા ઉત્સુક થયું,
'સુણ્યું એ ત્યાંથી આ રુધિર નવ ઠંડું થઈ શક્યું,
'પ્રતિ રાત્રે ચિત્રો સ્વપન મહીં એ એ જ નિરખું.

'પ્રભુ નિદ્રામાં યે મુજ જીવિતનું સાર્થક કહે,
'જહીં નિર્માયું ત્યાં મુજ રુધિર વ્હેવા ગતિ કરે;
'પિતાએ બક્ષેલું ખડગ મુજ આ એ જ સૂચવે,
'વિચારો એ આવ્યે બખતર સુધાં યે કસકસે.

'ન કાં ઢોળું તો હું મમ રુધિર એવી રજ મહીં
'અહીં જેની વિશ્વે કદર કરવા કોઈ જ નહીં -
'ન કો મારૂં તેમાં નકી કંઈ હશે હેતુ હરિનો
'અને તેમાં ઊંડે હ્રદય મમ સાક્ષી પણ પૂરે.

'હતું જેનું તેને મુજ રુધિર આ સૌ અરપવા -
'ઝનૂની મ્લેચ્છોને રજપૂતપણું કૈં શિખવવા


કલાપીનો કેકારવ/૩૩૮