'નહિ. તું તારી વાર્તાની ફૂલરાણીને જો. મને જોવાની આંખ તે ખોઈ નાખી છે.' આશ્લેષાએ કહ્યું.
'મારી વાર્તાની ફૂલરાણી તારા જ નમૂના ઉપર રચાઈ હશે તો ?'
'જુઠ્ઠો ! તને મારી સામે જોવાની ફુરસદ જ ન હતી.'
'આજ ફુરસદ લઉં તો ?'
'હવે મને ફુરસદ નથી !' કહી આશ્લેષા અદ્રશ્ય થઈ ગઈ, અને સુનંદ ભયભીત બની બેસી ગયો.
આશ્લેષા વગર કેમ રહેવાશે ? સુનંદ ખરેખર ભયભીત બન્યો. ઘરનો ખૂણેખૂણો અને કણેકણ તેને આશ્લેષાની સ્મૃતિ આપવા લાગ્યા. જ્યાંથી ને ત્યાંથી આશ્લેષાની જ મૂર્તિ ઊંચકાઈ આંખ આગળ આવી ઊભી રહેતી.
એ આશ્લેષા ઘરમાં જ ન હોય ? સુનંદ ભયથી કંપી ઊઠ્યો. આશ્લેષા તો ઘર સાથે. જીવન સાથે જડાઈ ગઈ હતી !
આશ્લેષા વગર કવિતા પણ અદ્રશ્ય થઈ ગઈ હતી. સાચું શું ? આશ્લેષા કે કવિતા ?
એકાએક સુનંદના હૃદયમાં પ્રકાશ પડ્યો:
'મને સાચું ઝેર જડ્યું.'
ઈશ્વરી પ્રેરણા પીતા કોઈ પયગંબર સમી–ઈશ્વરી કૃપા સર્વત્ર અનુભવતા ભક્ત સરખી ચમક તેની આંખમાં ચમકી ઊઠી.
આશ્લેષાએ સુનંદને ખબર ન પડે એમ અલગ ઘર પણ રાખ્યું અને કૉર્ટમાં લગ્નવિચ્છેદની માગણી પણ કરી. ઘર પાસે જ હતું, પડોશમાં જ હતું. એક ઘરની અગાશીમાંથી બીજા ઘરમાં જઈ શકાય એમ હતું. તેનો અસંતોષ તદ્દન સાચો હતો. પત્નીને ખસેડી કવિતાને પંપાળતા પતિ પાસે જીવનભર રહેવાય જ કેમ ? તે દ્રઢતાથી ખસી ગઈ. પણ તેના હૃદયમાં એક માતૃત્વ અંશ ચમકતો જળવાઈ