કે તે મરતાં સુધી છૂટે જ નહિ! ' કહી આશ્લેષાએ બંને હાથ સુનંદના ગળામાં ભેરવ્યા, અને તે એટલી વાર સુધી કે સુનંદને કહેવું પડ્યું : 'આશ્લેષા ! કોઈ આવતું સંભળાય છે.'
‘ભલે આવે. મારું નામ તો તેં જ પાડ્યું છે ને ? આશ્લેષા હવે છૂટશે નહિ.”
સુનંદે કહ્યું “તંત્રી સાહેબ ! આપ મારી પાસે કવિતા કે વાર્તા માગો છો. પણ એ દિવસથી મેં કવિતા, વાર્તા, લેખ, નાટક, કાંઈ પણ લખવાનું છોડી દીધું છે. દશેક વર્ષ થવા આવ્યાં; હું કાંઈ પણ લખતો નથી.'
'મને એ જ નવાઈ લાગે છે. લેખન વ્યવસાયમાં આટલી બધી કીર્તિ મેળવનાર સાહિત્યકાર લગભગ ભુલાઈ જવાની સ્થિતિએ આવે એ તંત્રીઓને તો ન જ ગમે. માટે મારી વિનંતિ છે કે એકાદ લેખ, વાર્તા કે કવિતા મને આપો જ આપો. તંત્રી સુનંદ પાસે લેખ માગવા ગયા હતા, તેમણે કહ્યું.
'તંત્રી સાહેબ ! હવે હું કવિતા કે વાર્તા લખતો નથી. હું કવિતા-વાર્તા જીવું છું.'
'હું તંત્રી; મારી માગણીને નિષ્ફળ બનાવતો જ નથી. તમે કહી એ જ વાર્તાને છાપું તો ?'
આશ્લેષા તંત્રી તથા સુનંદ માટે શરબત લઈ આવી.
સુનંદે તેને પૂછયું : 'આશ્લેષા ! આ તંત્રીસાહેબ આપણી ફજેતી છાપવા માગે છે. તારે કશી હરકત છે?'
'ભલે છાપે ! ફજેતી તારી હતી : મારી જરાયે નહિ. કહી – કહીને થાકી તો ય હવે કાંઈ લખતો નથી ! એટલે તારા ભવાડા જ લોકો લખશે ને ?' આશ્લેષાએ કહ્યું. આશ્લેષાની બધી જીદ સુનંદ પૂરી કરતો માત્ર એક સિવાય. તે લખવાને આગ્રહ કરતી તેને તે