પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રભુ છે? : ૫૧
 

તેણે છોડી દીધી. બાળકો માગે અગર કહે તે ન આપવું એવી હઠ લઈ બેઠેલા વડીલો જેવા ભગવાન પણ અવળચંડા હશે એમ તેણે કલ્પના કરી.

ધીમે ધીમે તેને લાગવા માંડ્યું કે દુનિયાનાં કાર્યોમાં લોકો કહે છે એટલો સીધો સંબંધ પ્રભુને હોવો ન જોઈએ. સુર્ય ચંદ્ર ઊગતાં કે આથમતાં પ્રભુની આજ્ઞા લેતા લાગ્યા નહિ. પ્રભુને પ્રાર્થના કરીએ કે બહુ વરસાદ પડે અને શાળામાં રજા પડે ! ત્યારે સૂર્યનારાયણ બધો જ વખત તપે. ક્રિકેટ મેચ લીધી હોય અને પ્રભુને કહીએ કે બે દિવસ સુધી વરસાદને રોકી રાખ પ્રભુ એ કદી માને નહિ, અને ખરે વખતે વરસાવી આખી રમત બરબાદ કરી નાખે. પ્રાર્થના કર્યાથી સ્લેટ ઉપર આખો દાખલો ગણાઈ જાય એમ બનતું નથી. એ તો પાછી જાતમહેનત જોઈએ જ. પરીક્ષા વખતે શિક્ષકોની આંખે અંધારપટ આવે એવી વિદ્યાર્થીની વિનંતિનો ઈશ્વરે કદી સ્વીકાર કર્યો જાણ્યો નથી. શિક્ષક વારંવાર એક વાક્ય કહેતા : 'જે પોતે જાતે પોતાને સહાય કરે તેને ઈશ્વર સહાય કરે છે.'

જાતે સહાય કર્યા પછી ઈશ્વરની સહાય તદ્દન નિરુપયોગી થઈ પડે છે ! મા પાસે પૈસા નથી; બંગલા બગીચા તો ઠીક; પણ ચોપડી સુદ્ધાં પ્રભુ આપતો નથી ! એ ચોપડી કેમ આવતી હતી તે ધીમે ધીમે અશોકે સમજી લીધું. બીજી સ્ત્રીઓ જેવાં ઘરેણાં- લૂગડાં મા પહેરતી નહતી એ તો ઠીક; પણ કોઈ કોઈ વાર ઘરેણું લઈ તેને પડોશના ગિરિધર શેઠને ઘેર જવું પડતું અને ત્યાંથી 'ફી'ના કે કપડાંના પૈસા લાવવા પડતા હતા ! આવા વધારે પ્રસંગો તેણે જોયા નહિ, એ ખરું; છતાં ઘરનું બધું ય કામ મા કરતી હતી, કદી દયણું દળતી હતી અને આસપાસના લોકોનાં નાનાં નાનાં કપડાં