રમી શકાય ને અંતર ખોલીને જેની કનેથી -
કંથ દેજો કહ્યાગરો
નણંદ દેજો સાહેલડી
સાસુ દેજો ભુખાળવાં
સસરો દેજો સવાદિયા
- બક્ષિસો માગી શકાય તેવાં બાળભોળાં જ કલ્યાયાં છે.
કઠોર રેખા ભૂંસી
એટલું જ બસ નથી. જ્યારે જ્યારે પૌરાણિક વ્રતને પણ આ કુમારિકાઓનાં લોકવાતોમાં પેસી ગયેલું આપણે જોઈએ છીએ ત્યારે પણ લોકકવિએ એ વ્રતની અસલની તમામ કઠોર રેખાઓને ભૂંસી નાખી, ફળ અને શિક્ષાના અતિશયોક્તિભર્યા ભયાનક ખ્યાલો અળગા મેલી, પાંડિત્યની બધી પરેડ ચૂંટી કાઢી, પોતાના કલ્પનાના કોમલ સ્પર્શ વડે સૌમ્ય સ્વરૂપ ઘડી કાઢ્યું છે. તુલસી-વ્રત લ્યો. તુલસી-વ્રત એટલે કાર્તિક સુદ એકાદશી દેવદિવાળી. “વ્રતરાજ માંનું એનું પૌરાણિક વર્ણન અસહ્ય થઈ પડે તેવું છે. હવે એને લોકકન્યાઓએ કેવી રીતે સાદું બનાવી કાઢ્યું? તુલસીને જેમ શ્રીકૃષ્ણ સરીખો સ્વામી મળ્યો, તેમ મને પણ મળો, સંસારમાં હું સામાન્યપણે સુખી રહું, એટલી જ સાદી સરળ વાંછનાથી પ્રેરાઈને કન્યા કહે છે:
- તુલસીમા તુલસીમા
- વ્રત વૈ, વરતોલા ધો.
ત્યારે તુલસીમા કહે છે -
- તમથી વ્રત થાય નહિ
- ને વ્રતનો મહિમા પળાય નહિ.
હઠીલી કુમારિકા કહે છે -
- થાય તોય દ્યો
- નો થાય તોય ઘો!
ત્યારે સુંવાળી વાણીમાં માતાજી સમજાવે છે:
- અષાઢ માસ આવે
- અંજવાળી એકાદશી આવે
- સાતે સર્વે સાતે ગાંઠે દોરો લેવો
- નરણાં ભૂખ્યાં વાત કહેવી.
- વાત ન કહીએ તો ઉપવાસ પડે.
વાર્તા કહેવાની પ્રથાને ચિરંજીવ કરવા માટે હળવું છતાં કડક બંધન મૂકી દીધું. અને કાવ્યમયતા તો હવે આવે છે; વાર્તા કોને કહેવી અને શી રીતે કહેવી ?