પૃષ્ઠ:Kankavati.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ખીર ખાવાના ભાવા થયા છે, તે તું પૂરા કરજે ને એને કહેજે કે તારે પિયર નથી તેની ખોટ હું પૂરી કરીશ.

આ રીતે પ્રભાતે પાડોશણે વૈરોટ્યાને કહીને ખીર જમાડી. દોહદ સંતોષાતાં વૈરોટ્યાએ દીકરો જણ્યો. નાગપત્નીએ સો દીકરા જણ્યા. વૈરોટ્યાના બેટાનું નામ પાડવાને દિવસે નાગોએ ઉત્સવ કર્યો. વૈરોટ્યાના બાપનું ઘર જ્યાં અગાઉ હતું, તે જ ઠેકાણે નાગલોકોએ ધવલગૃહ ખડું કરીને શણગાર્યું. હાથી, ઘોડા ને વેલ પાલખી લઈને નાગ લોકો આવ્યા. અલિંજર નાગની સ્ત્રીએ અઢળક પહેરામણી આણી.

પછી તો વૈરોટ્યા રોજ અલિંજર-પત્નીને ઘેર જાય છે, ને પૂરાં માનપાન પામે છે. પછી તો સાસુ પણ વહુને રૂડી રીતે રાખે છે. વૈરોટ્યાના રક્ષણાર્થે નાગણી માએ પોતાના નાગ-બેટાને ત્યાં મૂકેલ છે. વૈરોટ્યા તો એ સર્પોને ઘડામાં રાખે છે. એવામાં ઘરની કોઈક દાસીએ એ સર્પ ભર્યો ઘડો ધગેલી થાળી પર મૂક્યો. વૈરોટ્યાએ તરત જ એ ઉતારી નાખ્યો, ને એ સર્પોના ઉપર પાણી છાંટ્યું. એમાંથી એક બચ્ચું પૂંછડા વગરનું બન્યું. જ્યારે જ્યારે એ બાંડું બચ્ચું પડે-આખડે છે ત્યારે વૈરોટ્યા બોલે છે : 'બણ્ડો જીવતુ.' વૈરોટ્યાના હેતથી પ્રસન્ન બનેલા ભાઈ જેવા સર્પકુમારો ખૂબ પહેરામણી સાથે નામ પાડીને પાછા ગયા.

પછી એક દિવસ અલિંજર નાગ પોતાના એક પુત્રને બાંડો દેખીને ક્રોધ કરી ઊઠ્યો : 'કોણ દુષ્ટે મારા દીકરાને પૂંછડા વગરનો કર્યો ?' અવધિજ્ઞાન મૂકીને એણે જાણી લીધું કે એ કરનાર વૈરોટ્યા છે. એના પર રોષે ભરાઈને રૂપ બદલીને વૈરોટ્યાના ઘરમાં જઈ બેઠો. વૈરોટ્યા બહારથી ઘેર આવી, ઘરમાં પ્રવેશતાં જ એ બોલી, 'બણ્ડો મે જીવતુ ચિરમ્‌'. એ સાંભળીને પ્રસન્ન બનેલો નાગરાજ વૈરોટ્યાને ઝાંઝરની જોડી દઈને બોલ્યો : 'બેટા, હવેથી તારે પાતાળમાં આવવું, નાગભાઈઓ પણ તારે ઘેર આવશે.' પછી તો વૈરોટ્યા પાતાળમાં આવ-જા કરે છે.

હવે, વૈરોટ્યાના સસરા પદ્મદત્તને શ્રી આર્યનંદિલ સાધુએ કહ્યું કે તારી પુત્રવધુને કહે, એમણે નાગની પાસે માગવું કે તમારે પૃથ્વી પર કોઈને કરડવું નહિ.

એ પ્રમાણે વૈરોટ્યાએ પાતાળમાં જઈ નાગલોકોને કહ્યું : 'સાઙલિંજર પત્નીં જીયાત્‌ ! સોઙલિંજરો જીયાત્‌ ! યેનાઙહમપિતૃગૃહાઙપિ સપિતૃગૃહા કૃતા. અનાથાઙપિ સનાથા સંજાતા...' વગેરે કહીને એ પાછી ઘેર આવી. ગુરુએ 'વૈરોટ્યાસ્તવ' નામનું સ્તોત્ર રચ્યું. એ સ્તવનનો જે પાઠ કરે તેને સર્પનો ભય ન રહે, વગેરે.

જૈન સ્વાંગમાં લોકકથા

ઉપલી કથામાં જે જૈન સૂરિ વગેરેનો ઉલ્લેખ છે, તે તો અનેક શુદ્ધ લોકકથાઓને જૈન સ્વરૂપ આપીને સંપ્રદાયદૃષ્ટિએ બોધાત્મક બનાવવાની પરાપૂર્વથી ચાલી આવતી જૈન રસમ લેખે ઘટાવી શકાય. રાજા, નગર, શેઠ, શેઠાણી વગેરેનાં એક જ પ્રકારનાં નામ પણ એ જૈન-રૂઢિને આભારી છે. પણ વાર્તાની આંતરગત લાક્ષણિકતારૂપ તત્ત્વો તો આ છે: