પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૦
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



ખાતર પ્રભુની ઉપાસના કરી, પુષ્કળ કરગરી, અસંખ્ય આંસુ પાડ્યાં અને અશરણના શરણુ દીનાનાથ તેની વહારે ધાયા.

જોતજોતામાં આકાશમાંથી કબૂતરોનો વરસાદ પડ્યો. નાનાં-મોટાં અસંખ્ય કબૂતરોના મૃતદેહ દુકાળિયાંની પાસે આવીને પડ્યા અને તેમણે અનેક દિવસ સુધી તેનાથી ભૂખ સમાવી.

રાજતરંગિણીકારનું અનુમાન છે કે એ પતિવ્રતા રાણીએ પોતાના પુણ્યપ્રભાવથી કબૂતરના જેવા કોઈ બીજાજ પદાર્થની વૃષ્ટિ કરાવીને પ્રજાનું સંકટ ટાળ્યું હતું; કેમકે પ્રાણીમાત્ર ઉપર દયા રાખનાર અને અહિંસાનું વ્રત ધારણ કરનારાં રાજારાણી અસંખ્ય કબૂતરોની હિંસાનું કલંક પોતાના ઉપર લાગવા દે એ સંભવિત નથી. અમારા અનુમાન પ્રમાણે અતિશય બરફ પડવાથી પક્ષીઓ મોટી સંખ્યામાં મરણ પામેલાં હોવાં જોઈએ; અને જ્યાં પેટની આગ હોલાવવાનોજ પ્રશ્ન રહ્યો ત્યાં મનુષ્ય વિધિનિષેધનો બહુ વિચાર કરવા રહેતો નથી. એ સંકટના સમયમાં કાશ્મીરવાસીઓએ કબૂતરના માંસથી ઉદરજ્વાળા શાંત કરી હોય તો એમાં આશ્ચર્ય જેવું કાંઈ નથી. અસ્તુ !

થોડી વારમાં આકાશ નિર્મળ થઈ ગયું અને રાજાના શોકની સાથે સાથે દુકાળની પણ શાંતિ થઈ ગઈ.

રાજાએ રાણી વાક્‌પુષ્ટાને પોતાની રૈયતની રક્ષક ગણીને ઘણો ધન્યવાદ આપ્યો.

રાણી વાક્‌પુષ્ટા પુણ્યની મૂર્તિ હતી. એણે બ્રાહ્મણોને માટે ઘણી સામગ્રી સહિત બે વિશાળ અગ્રહાર બંધાવ્યા. ત્યાં આગળ ગરીબોને અને બ્રાહ્મણોને છૂટે હાથે અન્ન વહેંચવાની યોજના હતી. સેંકડો વર્ષો સુધી એ અગ્રહારમાં વટેમાર્ગુઓ આશ્રય લેતાં અને રાણી વાક્‌પુષ્ટાને આશીર્વાદ આપતાં.

રાજા તુંજીન છત્રીસ વર્ષ સુધી રાજ્ય કરીને ભરયુવાવસ્થામાં પરમધામ સિધાવ્યા, એટલે પતિવિરહથી પીડિત થઈને રાણી વાક્‌પુષ્ટાએ પ્રાણ ત્યજી દીધો. જે સ્થળે એ પતિવ્રતા રાણી સતી થઈ હતી, એ સ્થાન હજુ પણ વાક્‌પુષ્ટાટવીના નામથી પ્રસિદ્ધ છે.

રાજારાણી નિઃસંતાન મરણ પામ્યાં, પણ એમનો યશ ચિરંજીવ છે.