પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫
ચુલ્લબોધિની પત્ની


કુળમાં જન્મેલી સુકુમાર સ્ત્રી છે. તારાથી અરણ્યવાસનાં દુઃખો સહ્યાં જશે નહિ. તેથી હું કહું છું કે, તારે આ ઘરમાંજ રહી દાનાદિ પુણ્યકર્મ કરવાં.”

બોધિસત્ત્વે ભાર્યાને પોતાની સાથે ન આવવાને ઘણી સમજાવી, પરંતુ તે સત્ત્વશીલ સ્ત્રીએ ભાવિ દુઃખોને ન ગણકારતાં તાપસ વેશ સ્વીકારીને પતિનો માર્ગ ગ્રહણ કર્યો. થોડા સમય બન્નેએ ફળમૂળ ખાઈને હિમાલયમાં વ્યતીત કર્યો. ત્યાર પછી તેઓ ભિક્ષા માગવા સારૂ કાશી રાજયમાં આવી પહોંચ્યાં.

કાશીરાજ એક દિવસે બગીચામાં ફરવા ગયો હતો, ત્યાં એણે એક વૃક્ષ નીચે બોધિસત્ત્વને અને બીજા વૃક્ષ નીચે તેની પત્નીને દીઠાં. રાજા સ્ત્રીનું રૂપ જોઈને મોહિત થઈ ગયો અને કાંઈ પણ પરવા ન કરતાં એ સ્ત્રીને પોતાના મહેલમાં લઇ જવાનો સિપાઈઓને હુકમ આપ્યો. રાજમહેલમાં રાજાએ તે સ્ત્રીને લલચાવવાનો ઘણોયે પ્રયત્ન કર્યો પણ ભય કે લાલચ કશાની એ પતિવ્રતા ઉપર અસર થઈ નહિ. આખરે રાજાએ પણ બળાત્કારથી સતીનું શિયળ ભંગ કરવાનો વિચાર માંડી વાળીને તેને બોધિસત્ત્વની પાસે મોકલી આપી.

પતિની ઉચ્ચ અભિલાષાઓ પોષવા માટે, દુઃખમાં પતિની સહચારિણી થવા માટે અને આપત્તિમાં પણ પાતિવ્રત્ય ધર્મમાં અટળ રહેવા માટે ચુલ્લાબોધિની પત્ની આપણી પ્રશંસાને પાત્ર છે.*[૧]


  1. ‘બુદ્ધલીલાસારસંગ્રહ’માંથી સાભાર ઉદ્ધૃત.