ભગવાન અમિતાભ (બુદ્ધ) તારી વાસના પૂર્ણ કરશે.”
ભગવાન બુદ્ધે તેને આશીર્વાદ આપીને વિદાય કરી. એ દિવસની સભા વિસર્જન થઈ.
બાલિકા સુપ્રિયાના રાતદિવસ જરા પણ થાક લીધા વગર કરેલા પ્રયત્નને લીધે શ્રાવસ્તીમાં દુકાળથી પીડાતા લોકોનું સંકટ- નિવારણ થયું હતું. પોતાની તીવ્ર બુદ્ધિથી એ બુદ્ધદેવના મનમાં શો અભિલાષ છે તે જાણી શકી હતી. એથી કરીને કુબેરના જેવા ધનાઢ્ય લોકોએ બહાનાં કાઢવા માંડ્યાં, ત્યારે એ ગર્ભશ્રીમંત કન્યાએ દુઃખી અને દરિદ્રોની સેવા કરવા ખાતર હાથમાં ઝોળી લીધી હતી. જે મનુષ્ય પોતાના બંધુઓ ઉપર દયા આણે છે; તેમને દુઃખે દુઃખી થાય છે અને તેમને તન, મન, ધનથી મદદ કરવા પ્રયત્ન કરે છે તેમને ઈશ્વર પણ જરૂર મદદ કરે છે. ભગવાન બુદ્ધના આશીર્વાદથી સુપ્રિયાનું એ ભિક્ષાપાત્ર કદી ખાલી ન થયું. ગામના લોકોએ જ્યારે એ કરોડપતિ શેઠિયાની કન્યાને પારકાંઓની ખાતર ભીખ માગવા આવતી જોઈ, ત્યારે એમનાં કઠોર હૈયાં પણ પીગળ્યાં. તેમની મદદથી સુપ્રિયાએ બધા દુકાળિયાને અન્નની સહાયતા પહોંચાડી, એ અસાધારણ પ્રયત્ન અને ખંતને લીધે બૌદ્ધ સ્ત્રીઓના ઇતિહાસમાં સુપ્રિયા “દયાવંતી” નામથી પ્રસિદ્ધ થઈ ગઈ છે.
આત્મવિશ્વાસ અને પ્રભુકૃપા હોય તે એક નાની અબળા પણ પરોપકારનાં કેટલાં મહાન કામ કરી શકે છે, તે સુપ્રિયાના ઉદાહરણ ઉપરથી જણાઈ આવે છે.
સુપ્રિયા અને અનેક બૌદ્ધભિક્ષુણીઓના જીવન ઉપરથી આપણને બોધ મળે છે કે, ભારત રમણીઓને લોકસેવાનો મંત્ર શીખવા સારૂ યુરોપમાં દીક્ષા લેવા જવું પડે એમ નથી.