પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૫
એક વિશેષ આઘાત કિંવા છચ્છરનો વિયોગ


"વસ્ત્ર કેટલાંક અને શાં શાં સીવવાનાં છે વારૂ ?" છચ્છરે પૂછ્યું.

"એ બૈરાંનું કામ બૈરાં જાણે. બપોરે જમ્યા પછી શેઠાણીને પૂછી જોજો એટલે બધું કામ બરાબર બતાવી દેશે." શેઠે જવાબ દીધો.

"ભલે હું આવતી કાલથી જ એ કામનો આરંભ કરી દઈશ. એથી કામ પણ થતું જશે અને મારો વખત પણ કપાતો જશે. બેસી રહેવું અને 'નવરો બેઠો નખ્ખોદ વાળે' ની કહેવતને ખરી પાડવી તેના કરતાં કાંઈ પણ ઉદ્યોગ કરવો એ વધારે સારૂં છે." છચ્છરે કહ્યું.

"શાબાશ ! માણસ તો આવા જ હોવા જોઈએ. અમારા વાણોતર તો હાડકાંના એવા હરામ છે કે ન પૂછો વાત. 'ખાવામાં ખવીસ ને કામમાં કંજૂસ' એ કહેવત તેમના સંબંધમાં અક્ષરે અક્ષર સત્ય પડે છે. હું ઘણી વાર તેમને ટોકું છું, પણ એ તો 'પાડાની પીઠપર પાણી;' ઘાંચીનો બળદિયો તે વળી આગળ ચાલે ખરો ?" શેઠે છચ્છરને ધન્યવાદ આપીને તેનાં વખાણ કર્યાં.

"અત્યારથીંજ આપ મને આટલી બધી માનની દૃષ્ટિથી નિહાળો છે, એ માટે હું આપનો આભાર માનું છું. પણ આવાં જ વખાણ તમે મારા અહીંથી ચાલ્યા ગયા પછી પણ કરતા રહો, તો જ મારી ખરી મહત્તા. બોલવા કરતાં કરી બતાવવું વધારે સારૂ છે." છચ્છરે નિરહંતા દર્શાવીને કહ્યું.

વાતચીતમાં બપોર થવા આવ્યા અને સર્વ જમવા ગયા. જમ્યા પછી છચ્છર શેઠાણી પાસે ગયો અને શેઠાણી પણ શેઠ જેવી જ માયાળુ અને ભલા સ્વભાવની હોવાથી તેને માનપૂર્વક બેસાડીને શાંતિથી જે કામ હતું તે તેણે તેને બતાવી દીધું.

"આ બધું કામ તૈયાર થતાં કેટલાક દિવસ લાગશે વારૂ ?" શેઠાણીએ સવાલ કર્યો.

"થશે તો વીસ દિવસમાં જ; પણ બહુ બહુ તો એક મહિના કરતાં વધારે વખત તો નહિ જ થાય." છચ્છરે જણાવ્યું.

"તો તો તમારા મોટો ઉપકાર; કારણ કે, લગ્નને સવ્વામહિનો જ બાકી છે. શેઠને કહી કહીને થાકી ગઈ, પણ દુકાનના કામથી એમને તો અવકાશ જ મળતો નથી ! આ તો ઠીક થયું કે તમે આવી ગયા, નહિ તો કામ એમનું એમ રખડી જ પડત તો !" શેઠાણીએ સ્ત્રીસ્વભાવને અનુસરીને ધણીપર તાશેરો કર્યો.

છચ્છર એવી રીતે પોતાના કાર્યમાં પ્રવૃત્ત થયો.

હવે આપણે કુમારોની શી દશા થઈ તેનું અવલોકન કરવામાટે તેમની પાછળ જ પ્રવાસ કરીશું.