પૃષ્ઠ:Lakshami Natak.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દે૦: મારી જ.

ભી૦: કેમ તમે લુચા અને હરામખોરની ટોળીમાં હતા કે શું ?

દે૦: હું જાણું છું કે તમે બંને જણ કાંઈ સારાં મનુષ્ય નથી, અને અમારી મિલકત તમે જ દબાવી રાખી હશે.

ભી૦: અરે આ ચાડિયો આવડો આકળો કેમ બોલે છે, હડકાયો થયો છે કે શું ?

દે૦: કાંઈ ફિકર રાખશો નહીં, તમે નક્કી જાણજો કે હું તમને છોડનાર નથી, ફોજદારીમાં લઈ જઈને બેસાડી મુકાવીને કબુલત કરાવી લેઈશ.

ભી૦: લીધું, લીધું, મોત.

શા૦: હે દુઃખ આ દેવીનું તો મોટું મહાત્મ જાણવું જોઈએ જે આવા પાપીશ્ટ લોકોને પીડા કરવાનો સ્વાભિપ્રાય જણાય છે.

દેશાઈ: અરે તમે પણ આ કામ કરવામાં છો કે, એમ જ હશે, નહીંતો કાલે તમે ફાટાં મેલાં લુગડાં પેહેરયાં હતાં, અને આજ આવા જાનઇયા જેવા શાથી થયા ?

શા૦: અમે કાંઈ તારાથી બીતા નથી. આ ઘંટાકરણનો જંત્ર માદળિયામાં મારી પાસે છે. વિશ્વંભર જોશી પાસેથી મને મળ્યો છે, તેથી સરપ તથા વાઘનો ભય પણ અમારે નથી.

ભી૦: શાસ્ત્રીબાવા, સરપ વાઘનો ભય તો નહીં, પણ ચાડિયા લોકોનો ભય તો ખરો એ તો કાંઈ એવા જંત્રને માને નહીં.

દેશાઈ: અરે તમે અમારી મશકરી કરો છો ? હસવું હોય એટલું હશી લ્યો. પણ આ કામ બાબત તમારે સાફ જવાબ આપવો પડશે જે તમે મોટા પૈસાવાળા શાથી થયા ? અને બીજા લોકોને કેમ હેરાન કરો છો ? એ કામ કાંઈ સારૂં નથી.

ભીમ૦: હા. તારે તો સારૂં નથી.

દેશાઈ: તે શેનું સારૂં હોય અમારી મિલકત ધુળધાણી કરીને આ ઘરને ખુંણે પેશીને તરેહ તરેહના પાક બનાવો છો તે.

ભીમ૦: ઠીક તારે, પાકમાંથી તમને ખાવાનું મળે ત્યાં સુધી તમે એને તમારી સહાયદી પુરનારાઓ પતરાળીઓ, પડિયા, લેઈને બેસો.

દે૦: કેમ પાક નથી બનતો, ત્યારે આ દુધપાક શીરાપુરી માલપુડાની બાસ ક્યાંથી આવે છે ?

ભીમ૦: હા, તે બાસ તમારા મોંમાં આવી, ત્યારે હવે તમારે શું જોઈએ ?

શાસ્ત્રી: અરે ભાઈ તું જાણતો નથી કે, ચાડિયા લોકોનું એ જ કામ છે, જે કાંઈ ન હોય, તોપણ જુઠ્ઠું તોમત ઊભું કરીને પણ તેની પાસેથી કાંઈ લેવું.