ધીર૦: આ ડોશી.
ભીમડો: અરે ભોળા ઠાકોર તમને એટલી સમજણ નથી કે દેવે તો એમ કહ્યું કે જગતની ચાલ પ્રમાણે તમારા દીકરાને ચલાવવો.
ધીર૦: એ વાત તું શા ઉપરથી કેહે છે ?
ભીમડો: હે ઘેલા રાજા એમાં શું એ તો પ્રગટ છે, તે આંધળા માણસને પણ દેખાય કે, આ સમામાં કાંઈ પુન્ય કરવાનું ફળ નથી.
ધીર૦: ના, ના, એમતો નહીં હોય કાંઈક વાત તો ઊંડી હશે પણ આ ડોશીને આપણે ઓળખીએ કે એ કોણ છે અને શા માટે અહિં આવી હશે, ત્યારે દેવનો મરમ સમજાશે.
ભીમડો: અલી આંધળી ડોશી તું કોણ છું અને શો વિચાર કરે છે, ને શા સારૂં અહિ આવી છું ? તુરત બોલ નહીં તો માર ખાઈશ.
ડોશી: અરે ચંડાળ એ તું શું બોલે છે ?
ભીમડો: હે રાજા એ આંધળી ડોશી તમને શું કેહે છે ?
રાજા: મને નથી કેહેતી એ તો તને કેહે છે કેમ કે તેં નિર્લજની રીતે એને પુછ્યું તે સારૂ.
રાજા: હે ડોશીમા તમારી ધર્મવાળા ઉપર સારી દૃષ્ટિ હશે. તે માટે કૃપા કરીને મને ઉત્તર આપો.
ડોશી: તને શું ફાંસીએ દેવો છે ?
ભીમડો: હે રાજા એ માધેવડો તથા આંધળી ડોશી બંને તમને સોંપ્યા મારે એકેનું કામ નથી.
રાજા: અરે ડોશી તમને શિક્ષા થયા વિના અમારી પાસેથી તમો છૂટનાર નથી.
ભીમડો: એ વાત સાચી છે જો ઉત્તર આપીશ નહીં તો ચાંચડની પેઠે ચોળી નાખીશ.
ડોશી: અરે ભલા માણસો મને જવા દો.
રાજા: હા જરૂર એમ જ કરવું છે.
ભીમડો: હે રાજા હું કહું તે સાંભળો. આ આંધળીને હું ભુંડા હાલથી મારીશ, તે એવી રીતે કે શેહેરના કોટ ઉપર લેઈ જઈને ઉભી રાખીશ. ત્યાંથી પછડાઈને મરી જશે.
રાજા: ઠીક ઠીક, એમ જ કરો.
ડોશી: ના ના ભાઈસાહેબે મને મારશો નહીં.
રાજા: ત્યારે કહીશ ?
ડોશી: હું જાણું છું કે તમે મને ઓળખશો ત્યાર પછી છોડનાર નથી. કાંઈ દુખ દેશો.