રાજા: તારા સમ જો તને ઝાલી રાખવાતો.
ડોશી: ત્યારે તમારા હાથ કોરે લ્યો.
રાજા: લે ત્યારે (એમ કહીને હાથ કોરે લે છે.)
ડોશી: સાંભળો જે વાત નથી કહેવાની તે કહેવી પડે છે. હું તો લક્ષ્મી છું.
રાજા: અરે માતાજી તમે જ લક્ષ્મી છો ? ત્યારે ત્યારનાં બોલતાં શું નથી.
ભીમ૦: ભુંડી તું જ લક્ષ્મી છું. ત્યારે તારા આવા હાલ કેમ છે ?
રાજા: અરે રામક્રષ્ણ હરિહર તમે જ લક્ષ્મી છો ?
લક્ષ્મી: હા.
રાજા: તમો આપે જ લક્ષ્મી ?
લક્ષ્મી: હા, હું આપે જ લક્ષ્મી.
રાજા: ત્યારે તમે અહિ ક્યાંથી પધાર્યાં અને આવાં મેલાં કેમ છો ?
લક્ષ્મી: શ્રાવકલોકોના ઘરમાં રહું છું અને ત્યાંથી આવી.
રાજા: અરે તમારી એવી અવસ્થા કેમ ?
લક્ષ્મી: મેં બાળપણામાં નિશ્ચે કરયો હતો કે હું સારાં માણસોને ઘેર જ જઈશ પણ તે સારા માણસો ઉપર ઇંન્દ્રની [૧] કૃપા નહોતી તેથી મારી આંખ્યો ઇંન્દ્રે ફોડી નાંખી એટલે હવે સારાં માણસો કે નરસાં માણસોની વિગત પડતી નથી એ ઇંન્દ્રની ભૂલ છે.
રાજા: ત્યારે એમ કેમ હશે કે સારાં માણસો ઇંન્દ્રની પૂજા કરે છે પણ દુષ્ટ માણસો તો કાંઈ કરતા નથી.
લક્ષ્મી: ભાઈ એ વાત મોટી વિચારવા જેવી છે.
રાજા: વારૂં તમારી આંખ્યો સારી થાય તો પછી દુષ્ટ માણસથી દૂર રેહેશો ?
લક્ષ્મી: ભાઈ મારે તો એવો વિચાર ઘણો જ છે.
રાજા: પછી સારાં માણસોનો જ પ્રસંગ કરશો ?
લક્ષ્મી: હા ભાઈ એમ જ કરીશ, સારાં માણસો ઘણા દહાડા થયાં, મારા જોવામાં આવ્યાં નથી; હું જેને ઘેર જાઊં છું; તે દુષ્ટ માણસ હોય છે.
રાજા: એમાં શું અચરત છે, અમે પણ ઘણા દહાડા થયા સારા લોકો દીઠા જ નથી.
લક્ષ્મી: હવે મને જવા દો, મેં તમને સર્વે વાત કહી.
રાજા: અરે દૈવ હવે જવા કેમ દેવાય, હવે તો રાખવાં પડશે.
લક્ષ્મી: ભાઈ હું તમને કેહેતી હતી, કે તમે મને ઓળખશો તો પછી નહીં છોડો.
રાજા: હું તમને પગે લાગીને કહું છું, કે તમારે મારે ઘેર રેહેવું જગતમાં મારા જેવો ધર્મવાળો કોઈ નથી.
- ↑ (અહીં પુસ્તકમાં જોડણી "ઇંન્ન્દ્ર" કે "ઇંન્ન્દ્ર" એવી છે જે યુનિકોડમાં કરવી શક્ય ન હોય બધે જ ’ઇંન્દ્ર’ રાખ્યું છે.)