લક્ષ્મી: એ તો સર્વે લોકો એમ જ બોલે છે, પણ હું જ્યારે કોઈના ઘરમાં રહું છું ત્યારે તે ધનવંત પણાના મદથી તુરત ધર્મની ચાલ છોડી મુકે છે.
રાજા: માતાજી તમે કોહો છો તે ખરૂં. પણ સર્વે લોકો સરખા ન હોય.
લક્ષ્મી: સૌ સરખા જ છે, કોઈ જગતમાં સારૂં માણસ નથી.
ભીમ૦: ઉભી રહે ભુંડી સૌ લોકોને સરખા કેહે છે, હમણાં એક સોટી લગાવું છું.
રાજા: ચુપ એવું બોલ માં.
રાજા: માતાજી મારે ઘેર રહેવામાં તમારે મોટો લાભ થશે, તમારી આંખ્યો હું સારી કરાવીશ, તે જરૂર કરાવીશ.
લક્ષ્મી: મારે સારી આંખ્યો થવામાં કાંઈ લાભ નથી.
રાજા: એ શું બોલ્યાં ?
ભીમ૦: એના કરમમાં જ દૈવે અંધાપો લખેલો.
લક્ષ્મી: ભાઈ હું સારી આંખ્યો થવાની આશા રાખું તો ઇંન્દ્ર મને આથી પણ કાંઈ બીજું મોટું દુખ આપે.
રાજા: આથી પછી ઇંન્દ્ર શું મોટું દુખ આપશે ? જે પડતાં આખડતાં માંડ ચાલો છો.
લક્ષ્મી: એ તો હું જાણતી નથી, પણ મને એની બીક બહુ લાગે છે.
રાજા: એમ કેમ તમે સર્વ દેવોમાં કાયર છો, પણ તમે જાણતાં નથી કે તમારી આંખ્યો સારી થાય ત્યારે ઇંન્દ્ર કે ઇંન્દ્રના વજરની ચૌટામાં એક કોડીની પણ કિંમત નથી.
લક્ષ્મી: અરે બોલોમાં ઇંન્દ્ર સાંભળશે.
રાજા: અમારે તો બોલવું છે, કેમ જે હું નક્કી કરી આપીશ કે ઇંન્દ્રથી તમારૂ બળ ઘણું જ વધતું છે.
લક્ષ્મી: મારૂં બળ કહો છો ?
રાજા: હા તે વાતના સમ ખાઉ છું. જુવો એક વાર ઇંન્દ્ર કેની સહાયતાથી દેવ લોકનું રાજ કરે છે.
ભીમ૦: પૈસાથી, કેમકે એની પાસે પૈસા ગદબદ છે.
રાજા: વારૂં એને પૈસા કોણ આપે છે ?
ભીમ૦: આ આંધળી ડોશી.
રાજા: ત્યારે ઇંન્દ્રનો જગન કરે છે તે શા માટે, લક્ષ્મી સારૂં કે બીજા સારૂં ?
ભીમ૦: એ જ સારૂં સૌ પૈસાને ચહાય છે, એ વાત કાંઈ છાની નથી.
રાજા: ત્યારે એ જગન કરાવનારી લક્ષ્મી જ કે. બીજું કોઈ ?