લક્ષ્મી: ભાઈસાહેબ એવું શું બોલો છો ?
રાજા: સૌ જાણે છે કે, લક્ષ્મી વિના જગનનો સામાન ક્યાંથી મળે ?
લક્ષ્મી: કેમ ?
રાજા: કેમ શું, જુઓને પૈસા વિના કાંઈ વસ્તુ મળતી નથી, ત્યારે તમારે ને ઇંન્દ્રને ટંટો હોય, ત્યારે એનું જોર કેટલુંક છે ?
લક્ષ્મી: શું કહો છો ! મારી સહાયતાથી જગન થાય છે, એ વાત ખરી છે ?
રાજા: ખરી જ છે તો, અને વળી જગતમાં કાંઈ સારી વસ્તુ કે સભામાં સનમાન તે પણ લક્ષ્મીથી જ મળે છે કે નહીં ? કહ્યું છે કે,
માટે સર્વે ગુણ લક્ષ્મીમાં રહ્યા છે.
ભીમ૦: હા. ઠાકોર તમને પણ સાંભરતું હશે, તમે મને થોડા પૈસામાં વેચાતો લીધો છે, તે દહાડે હું તમારાથી પણ ગરીબ હતો.
રાજા: વળી અમે સાંભળ્યું છે કે, ગુણકાને ઘેર કોઈ ગરીબ માણસ જાય છે, તેને તુરત કહાડી મેલે છે, અને કોઈ પૈસાવાળો જાય છે, તેનું સનમાન કરે છે.
ભીમ૦: વળી જુઓ કે, પૈસા વિના કેટલાએક વડનગરા નાગર વાંઢા મરી જાય છે, તેનું એક ભજન બોલું છું.
સામી વળગણિયે સાલ્લો ન ભાળ્યો રાતીરે ભાતે.
રાજા: આપણા જાડેજા રજપુત દીકરિયોને જન્મતાં જ કશુંબો પાઇ દે છે. તે લક્ષ્મીની જ કસરથી કે નહીં ?
ભીમ૦: હા, ઠાકોર આપણાં ઠકરાળાંને કેવળ પીતળનાં ઘરેણાં કરાવીને ઉપર સોનાનો ગલેફ લગાવવો પડે છે તે પણ એટલા જ સારૂ.
રાજા: વળી લક્ષ્મી જ સારૂં દરજી તથા વણકર લુગડાં બનાવે છે, અને ખેડુત ખેડ કરે છે. સુતાર, મોચી, ઘાંચી, સૌ પોત પોતાનો ધંધો કરે છે; અને માતાજી તમારી જ સહાયતા ન હોય તો સૌ લોકો નાગા ભુખ્યા રહે.
ભીમ૦: એ વાત ખરી છે; તારા સારૂં જ ચોર વાટ પાડે છે ખાતર પાડે છે. અને કેટલા એક વ્યાજ ખોર લોકો બમણું વ્યાજ ખાય છે, ગાંમડાં ઉપર રૂપીઆ ધીરીને રાજાઓને ભીખ માગતા કરે છે, સોલ પંચાં બ્યાંશી અને બે છુટના એટલે એશી રૂપીયા ખાતે માંડે છે.
લક્ષ્મી: મને બીચારીને આટલી ખબર નોહોતી કે, મારૂં આટલું સામર્થ્ય છે.