પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

[ ૧૫૪ ]


ફરમાન મુજબ પોતાની ફરજ બજાવવાનું આઝાદ હિંદ ફોજે શરૂ કર્યું. (૮) એ સરકાર રંગુન ખસેડવામાં આવી આ૦ હિં૦ ફો૦ બરમામાંથી હિંદુસ્તાનની અંદર ઠેઠ કોહિમા સુધી ગઇ અને પછી એણે પીછેહઠ કરી, રંગુનને બ્રિટિશ સૈન્યે કબજે કર્યું તે પહેલાંના થોડા દિવસોના, તે વખતના અને તે પછીના થોડા દિવસોના બનાવો અને ખાસ તો જાપાની સૈનિકોની વિદાય બાદ અને બ્રિટિશ સૈનિકોના આગમન પૂર્વે આ૦ હિં૦ ફો૦એ ભજવેલો ભાગ.

કામચલાઉ સરકારની નક્કરપણે સ્થાપના થઈ હતી. એનો ઉદ્દેશ હિંદુસ્તાનને સ્વતંત્ર બનાવવાનો અને મલાયા તથા બરમામાંના હિંદીઓનાં જાનમાલ અને ઇજ્જતનું રક્ષણ કરવાનો હતો. એમનો પ્રથમ ઉદ્દેશ નિષ્ફળ ગયો એ હકીકત અપ્રસ્તુત છે. અદાલતને જેની સાથે લાગે વળગે છે તે તો એ છે કે એ એક સુવ્યવસ્થિત સરકાર હતી અને એની ફરજોની યોગ્ય વહેંચણી કરવામાં આવેલી હતી. એકલા મલાયામાંથી જ ૨,૩૦,૦૦૦ માણસેાએ ૧૯૪૪ના જૂન સુધીમાં નવી સરકાર પ્રત્યેની વફાદારીના સોગંદ લીધા હતા અને તે પછી પણ એ કાર્ય ચાલુ રહ્યું હતું.

બંડખોરોની એકાદ ટુકડીની કે કોઈ મહત્વહીન અને અચોક્કસ ટોળાની એ સરકાર નહોતી. જેને વીસ લાખ માણસો વફાદાર હતા અને જેને ધરી–સરકારોએ સ્વીકારેલી હતી એવી એ એક સુવ્યવસ્થિત સરકાર હતી. પોતે જેને ખાતર લડવા માગતી હોય તે કારણસર યુદ્ધ જાહેર કરવાનો એને અધિકાર હતો. એવું સૂચન કરાયું છે કે દક્ષિણ પૂર્વ એશિયામાંની જે સરકારોએ કામચલાઉ સરકારનો સ્વીકાર કરલો, તે જાપાનના અંકુશ નીચે હતી. પણ તેથી એમના એ સ્વીકારની કિંમત કાંઇ ઓછી થતી નથી. લડાઈ જાહેર કરવાનો જેને અધિકાર હોય એવી કોઈ હુકૂમત એકવાર જો ઊભી થઈ હોય તો પછી લડાઇ પોતેજ પોતાને વાજબી ઠરાવે છે. એ લડાઈના સંચાલનમાં કરેલું કોઈ પણ કાર્ય એ હકીકતને પરિણામે જ સજાથી મુક્ત બની જાય છે.