પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

[ ૬૬ ]

આ૦હિં૦ફો૦માં હું રાજીખુશીથી ભરતી થયો હતો. પણ બીજી આ૦હિં૦ફો૦માં હું જોડાયો કારણકે મારાથી મુસીબતો સહી જતી નહોતી છટકી જવાના ઈરાદાથી હું ભરતી થયેલો.

: ૯ :

૨૮મી નવેંબર : બુધવાર

સત્તરમા સાક્ષી સિપાહી દિલાસાખાન ૧૯૪૨ માં આ૦હિં૦ફો૦માં જોડાયેલ અને મોરચા પર એની ચોકિયાત કામગરી બજાવેલી પણ ખરી, નાસીને પાછળથી એ અંગ્રેજેને પક્ષે ભળી ગયેલા. એમણે કહ્યું કે, પહેલાં મને આઝાદ બ્રિગેડમાં મૂકવામાં આવેલો. પછી બોઝ બ્રિગેડમાં મારી બદલી કરાઈ. એ કૅ૦ શાહનવાઝખાનના તાબામાં હતી. અમારી બ્રિગેડ સામે કૅ૦ શાહનવાઝે ભાષણ કરેલું કે બોઝ બ્રિગેડમાં ચુનંદા માણસો છે. અને સહુથી પહેલાં એને જ મોરચા ઉપર જવાનું છે, તમે મોરચા ઉપર જશો ત્યારે ઘણી મુસીબતો વેઠવી પડશે, અને જો કોઈને મોતનો કે મુસીબતોનો ડર હોય તેા એ નીકળી શકે છે. આપણે આપણા સાથી જાપાનીઓની પડખે રહીને લડીએ ત્યારે ઊતરતી કક્ષાના સિપાહીઓ દેખાઈ આપણા રાષ્ટ્રને કલંક ન લાગવા દેવું જોઈએ. હિંદુસ્તાન પહોંચશું ત્યારે આપણાથી મોટી સ્ત્રીઓને આપણી માતા ગણવાની છે અને નાનીને બહેન-દીકરી ગણવાની છે આ સૂચના કોઈ નહિ માને તો એને ઠાર મારવામાં આવશે. હિંદ પહોંચ્યા પછી જો કોઈ જાપાનીને, સ્ત્રીઓ સાથે ગેરવર્તન કરતો તમે જુઓ તો પહેલાં એને ચેતવણી આપવી. તેમ છતાં એ ન માને તો બળ વાપરવાની અને એને ઠાર સુદ્ધાં મારવાની તમને છૂટ છે. આપણી લડત હિંદુસ્તાનની આઝાદી અને આબાદી માટેની છે, નહિ કે જાપાનીઓના ફાયદા માટેની. આપણે આઝાદીની લડત લડવાની છે અને એને માટે આપણને બહાદુર માણસોની જરૂર છે, બાયલાઓની નહિ. જ્યારે હિંદુસ્તાન સ્વતંત્ર થાય ત્યારે આજે આપણને મદદ કરી રહેલા જાપાનીઓ જો આપણને દબાવવા કોશિશ કરે તો