પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૪
લીલુડી ધરતી–ર
 

 ત્યારે હૉટેલનાં બારણાં પર ખંભાતી ટીંગાતું જોયું.

‘કોઈ દિ’ નહિ તે આજે જ બંધ કેમ ?’

‘જીવોભાઈ ઊંઘે છે કે શું ?’

‘કે પછી ઉજાગરાની નીંદર ચડી ગઈ છે ?’

કશો ખુલાસો મળતો નહોતો અને બંધાણીઓની તલપ વધતી જતી હતી.

‘કરમના આગળિયાત, તી અંબાભવાનીનું ય ઉઠમણું થઈ ગ્યું ! નીકર રઘાબાપાની હૉટલમાંથી પ્યાલો પેટમાં ઢોળી લેત—’

‘એલા જીવો રાત્ય લઈને ભાગ્યો તો નથી ને ? તરતપાસ તો કરો કોઈ ?’

‘એના ઘરાક ભાગે કે જીવોભાઈ ભાગે ? ગામ આખામાં આટલી ઉઘરાણી પાથરીને બેઠેલો માણહ ભાગીને જાય ક્યાં ?’

‘એલા, કો’ક એને ઘરે જઈને ખબર્ય તો કાઢો ? બચાડો જીવ સાજોમાંદો હોય નહિ !’

ભૂધર મેરાઈના વલ્લભને આ સૂચન ગમી ગયું અને એ સીધો ગામને છેવાડે આવેલી જીવાની ખડકી તરફ ઊપડ્યો.

આજે અંબાભવાનીનું આંગણું ઉઘાડું હોત તો આ રામભરોંસેની આટલી ઓશિયાળ ભોગવવી ન પડત, એ મુદ્દા પર ચર્ચા ચાલી રહી.

‘રામભરોંસે નામ જ એવું બુંદિયાળ... એના ભરોંહા જ નહિ.’

‘હવે તો વલભા જેવો કોઈ જુવાનિયો ત્રીજી હૉટર નાખે તો ગામને નિરાંત થાય.’

થોડી વારમાં વલ્લભ પોતે જ શોકના સમાચાર લઈને આવી પહોંચ્યો.

‘આજ તો પંચાણભાભા ગુજરી ગ્યા... મધરાત્યના દેવ થઈ ગ્યા છે !’

‘અરરર ! જીવાને માથેથી છત્તર હાલ્યું ગ્યું.’