લખાણ પર જાઓ

પૃષ્ઠ:Maa Baap Thavu Aakru Che.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આપણને બોલતાં આવડે છે?
૧૦૧
 

આથી ઊલટો જ અનુભવ તમને અસંસ્કારી રીતે ભાષા વાપરનાર માબાપો અને બાળકો પરત્વે થશે. આ બધું તમારા હંમેશના અનુભવનું છે એટલે એ લખવું છોડી દઈએ.

હવે ધારો કે તમે ભવિષ્ય કાળની એક નિશાળમાં ગયા. એ નિશાળમાં શિક્ષક એવી રીતે બોલશે કે એની સ્થિર-ગંભીર નિર્મળ વાણી તથા વ્યવસ્થિતપણે, શુદ્ધિથી, ધીમેથી, તાલબદ્ધપણે તેને ઉચ્ચારવાની રીતિ, બાળકને સ્વતઃ શાંત અને અભિમુખ કરશે. શિક્ષકને જે કહેવાનું છે તે બાળક ઓછા શ્રમે સમજશે. કહેવાનું પ્રિય વાણી સાથે આવેલું હોવાથી પ્રિય લાગશે અને બાળકોમાં પ્રાણ જગાડવાની વાણીની શક્તિ પ્રત્યક્ષ દેખાશે.

બાળકો માબાપના ઓછા ચાળા પાડે છે, કેમકે તેમને કોઇએ શીખવેલું હોય છે કે માબાપના ચાળા પડાય નહિ, અગર માબાપ બાળકોને સીધું કહી દે છે કે “એમ ન થાય; ચાળા ન ન પડાય.” બાળકોની મનોવૃત્તિ વ્યક્ત કરવાનો માર્ગ બંધ કરી માબાપ હવે ચાળા પાડવા યોગ્ય પોતે રહ્યાં નથી એમ મૂર્ખાઈથી માનતાં હોય તો તેઓ જખ મારે છે, અગર ખાંડ ખાય છે. બાળકો માબાપને છોડીને બીજાનાં નામો આપી તેમના ચાળા પાડ્યે જ રહેવાનાં છે. પણ શિક્ષકોના ચાળા જોવામાં માબાપ રસ લે છે, અને તેથી શિક્ષકોના ચાળા છૂટથી પાડવાનું બાળકોને મળે છે. આ ચાળામાં બાળકો શિક્ષકો કેમ બોલે છે ને તે વખતે કેવી કેવી કઢંંગી તેમની મુખમુદ્રાની રૂપછાયા બને છે, તે બરાબર બતાવે છે.

શિક્ષકો આવે પ્રસંગે હાજર રહી જરા જુએ તો ખબર પડે કે તેમણે બાળકો સમક્ષ કેવી રીતે બોલવું ઘટારત છે. માબાપો ધારે તો શિક્ષકોના ચાળામાંથી ઘણાં ડાહ્યાં થઈ શકે.