બાળકોએ હાથમોં ધોઈ નાંખ્યાં. હું એ જોઈને મનમાં પ્રસન્ન થયો. ખાસ કરીને મારું ધ્યાન બચુના ઉદ્ગાર તરફ ખેંચાયું.
બચુનું કહેવું બરાબર હતું. સાથે મારા મનમાં બાળકોને બચી લેવા ન લેવાની બાબતમાં કેટલાએક વિચારો આવ્યા.
મને લાગ્યું કે ઘણી વાર ગમે તે માણસ સારાં બાળકોને બચી લેવા લલચાય છે, ને થોડોએક પરિચય હોય છે ત્યાં બચી લઇ પણ લે છે, આવો તેને અધિકાર છે? સાફ નહિ. કોઇના બાળકને બચી લેવાનો બીજાને અધિકાર નથી જ.
કોઈનાં રૂપાળાં બાળકોને જોઈને બચી લેવા કેમ લલચાવાયું ? આપણી પ્રીતિ કાંઈ એ બાળકો ઉપર નથી પણ એમના રૂપ ઉપર છે, અને રૂપને જ માત્ર બચી લેવાની આપણી વૃત્તિનું પૃથક્કરણ આપણે કરી લેવું જોઇએ. કાળીમેશ એવી દીકરીને મા બચી લે છે ત્યાં માતૃપ્રેમ છે. પણ જ્યાં આપણામાં નૈસર્ગિક સ્નેહસંબંધ નથી છતાં રૂપથી આકર્ષાઇ આપણે બચી લેવા દોડીએ છીએ, ત્યાં મનમાં વિચારવું પડે છે. નાનાં બાળકોને આપને બચી લઇએ ત્યાં તેઓ તો નિર્દોષ જ છે; પણ તેથી આપણે નિર્દોષ છીએ કે નહિ તે જોઇ લેવું જોઇએ.
સગાંસંબંધીઓને પણ સગાંવહાલાનાં બાળકોને બચી લેવાનો અધિકાર તો ન જ હોય. પ્રેમના પ્રદર્શન રૂપે બાળકોને સગાંઓ બચી લે છે, તેના કરતાં એ એક જાતની પ્રેમદર્શનની ખોટી રૂઢિ છે. એવો પ્રેમ સગાંસંબંધીઓમાં ઊભરાતો નહોય તોપણ ઘણી વાર સગાંઓને જાણે કે બચી લેવી પડે છે, કેમકે તે એક પ્રકારનું પ્રીતિદર્શનનું કાર્ય છે. પરતુ સગાંસંબંધીઓએ પણ પોતાની બચી પાછળ