લખાણ પર જાઓ

પૃષ્ઠ:Maa Baap Thavu Aakru Che.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સાચો બનાવ
૧૭
 

રમાનાથ વિચારમાં પડ્યો ને ગભરાયો.

પુષ્પાબેન કહે : “લ્યો દોડો હવે દવાખાને ! એટલી બધી શી ઉતાવળ હતી કે ઝટ ઝટ જે શીશી આવી તે ઉપાડી ?”

રમાનાથને સામે ચિડાવાની નવરાશ ન હતી. તે તો દવાખાને દોડ્યો. પુષ્પાબેન ઉતાવળની નિંદા કરતાં બેઠાં, ને “હાય, હાય ! હવે રંભાને શું થશે ?” એમ રડવા લાગ્યાં.

“કેમ, રમાનાથ! દોડતા કેમ આવ્યા?”

“અરે આ શીશી તો જુઓ ? એમાં શી દવા છે ? ભૂલથી એકને બદલે આ અપાઈ છે.”

ડૉક્ટર કહે: “ કોણે આપી?”

રમાનાથ કહે: “મેં મારે હાથે આપી.”

ડૉક્ટર કહે: “ઠીક, એ તો પછી. પણ ઝટ દરદીને લાવો. દવાને જોઇને શું કરવું છે ? દરદીની સ્થિતિ જોવી જોઇશે.”

રમાનાથ ઊભે પગે દોડ્યો. વરસાદ વરસતો હતો, પણ દોડ્યો. દરદીને તેડીને દોડતો દોડતો પાછો આવ્યો. મનમાં થતું હતું કે કોણ જાણે શું યે થયું ને શું યે થશે !

ડૉક્ટરે રંભાને તપાસી. આંખો જોઇ; પેટ જોયું; હાથ, નખ, બધું જોયું. તેજાબ નાખી દવા તપાસી જોઈ; રંગ જોયો, સ્વાદ જોયો, બધું જોયું.

ડૉક્ટર કહે: “બરાબર ખબર નથી પડતી કે શી દવા છે; પણ ઝેર તો નથી જણાતું. દરદીને પણ કશી ખરાબ અસર નથી.”