લખાણ પર જાઓ

પૃષ્ઠ:Maa Baap Thavu Aakru Che.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નાહવાની ના પાડી છે
૩૭
 

ટૂંકી મતિની કે મારા બાળકને મેં પોતે જ શક્તિમાન થતું અટકાવ્યું ? મેં પોતે જ તેના હાથ-પગ કાપી નાખ્યા, અગર બાંધી રાખ્યા ?”

અતિકાળજી રાખનારી માતાનાં બાળકો સંબંધે આવું જ બને છે; ને બનવું સહજ છે. બાળકનો મૂળ સ્વભાવ સ્વયં પ્રવૃત્તિથી શક્તિ પ્રાપ્ત કરવાનો છે. પરંતુ શુભચિંતક માતા જ્યારે બાળકને બધું કરવાની ના પાડે છે ને તેને સાચવવા બધું પોતે કરે છે અગર કરાવી દે છે, ત્યારે બાળક અક્રિય રહી સડે છે. તેની શક્તિનો થનગનાટ થોડો વખત ઊછળી પાછો પડે છે. તેનું પોતાનું વ્યકિતત્વ વારંવાર રડી રડીને પછડાયા પછી ટાઢું પડે છે ને આખરે બાળક હતાશ થઈ અશક્તિને માર્ગે જાય છે. ધીરે ધીરે તે પોતાની જ જાતમાં વિશ્વાસ ખોઈ નાખે છે તેને મા એકજ સર્વજ્ઞ અને સર્વશક્તિમાન લાગે છે; તેનો બોલ એક જ શાસ્ત્રવચન થઈ પડે છે. પોતે વિચાર અને ક્રિયા ખોઈ બેઠેલું છે. તે વારંવાર માને પૂછે છે : “આ કરું? પેલુંં કરું ?” માની ‘ હા, ના’ ઉપર તે રહે છે. તેનામાં પોતાપણું કશું રહેતું જ નથી. લોકો તેને ‘માબાઈ’ કે ‘માવડિયો’ કહે છે અને પાછળથી તે જ ‘માવડિયાને’ મા કહે છે : “રોયા ! આવો નમાલો ક્યાંથી થયો ? રોયા ! બહુ સાચવીને રાખ્યો તે બગડી ગયો ?” વગેરે પણ પાછળથી આ બધું રાંડ્યા પછીના ડહાપણ જેવું રહે છે.

માને બાળકની ચિંતા રહેવી જ જોઈએ. પણ તે ચિંંતા બાળકને સદૈવ ઉપકારક થાય તેવી જોઈએ. તે ચિંતા કલ્પિત ન જોઈએ; તે ચિંતા અકારણ ન હોવી જોઇએ.