લખાણ પર જાઓ

પૃષ્ઠ:Maa Baap Thavu Aakru Che.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮
મા બાપ થવું આકરું છે
 

માએ બાળકને એમ કહેવું જોઈતું હતું કે “બાપુ ! તારા શિક્ષક કહે ત્યાં નાહજે. સૌ નાહતાં હોય ત્યાં નાહજે; રજા વિના આટલા પાણીની પેલી બાજુ ન જતો.”

અને માએ શિક્ષકને પોતાના બાળક પરત્વે ભલામણ કરવી હતી. બાળકને લઈ જનાર ઉપર ભલે આપણો પૂર્ણ વિશ્વાસ હોય છતાં માનું મન ભલામણ કર્યા વિના નથી રહેવાનું; માટે ભલામણ અવશ્ય થાય. પણ પછી માએ શિક્ષક કે જેને બાળક સોંપેલ હાય તેના ઉપર અને સર્વથી મોટા ગુરુ ભગવાન ઉપર ભરોસો રાખતાં શીખવું જોઈએ.

બધી માતાઓના મનમાં હંમેશાં એવું હોતું નથી કે કોઈનો ભરોસો જ ન કરવો. કોઈનો માતૃપ્રેમ ભરોસા પર નભતા હેાય છે, છતાં બાળક સંબંધે બેફિકર નથી રહી શકતા; પણ એ લાગણીની કોમળતાને માતાએ બાળકના જ હિત માટે જરા કઠણ કરવી પડે. અને એ કઠણ થયેલી કોમળતા જ ખરી લાગણી છે-સમતોલ લાગણી છે, એમ સમજવું પડે. ઘણી માતાઓ પોતાનાં બાળકોને આવી નબળી લાગણીને લીધે નબળાં રાખે છે, ને આખરે તેમને ગુમાવે છે.

જ્યારે પેલા ભાઈના ગોઠિયાઓ નદીમાં નાહીને મજા કરતા હતા, પાણીના પ્રથમ પરિચયનો આનંદ લેતા હતા, તરવાની કળામાં પહેલાં પગલાં માંડતા હતા અને આત્મવિશ્વાસ ને સ્વાતંત્ર્ય અનુભવતા હતા, ત્યારે આ ભાઈ કાંઠે ઊભા ઊભા રોતા હતા! કારણકે પોતાને નાહવું હતું પણ માનો મનાઈહુકમ હતો. પોતે વિકસવાને બદલે અટક્યા હતા; પોતે માની આજ્ઞાને લીધે જીવંત મટી પથ્થર થઈ ગયા હતા. માએ તેને આવી ના ન પાડી હોત તો ?