લખાણ પર જાઓ

પૃષ્ઠ:Maa Baap Thavu Aakru Che.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નહાવાની ના પાડી છે
૩૯
 

પેલા બીજા બાળકો ઘેર જઈ બાને અને બાપાને કહેશે : “અમે તો આમ નાહ્યા ને તેમ નાહ્યા. અમને તરતાં આવડ્યું. અમે પાણીમાં ડૂબકી ખાતા હતા. અને પાણી ઉડાડતા હતા!” બા અને બાપાને તે સાંભળી આનંદ થવાનો.

હવે આ ભાઈ ઘેર જઈને શું કહેશે ? મા પૂછશે : “પાણીમાં નાહ્યો તો નહોતો ના?” બાળક કહેશે: “ના.” પરંતુ તેને પેલી નદી વગેરે યાદ આવશે ત્યારે તો તે રડી પડશે. તે કહેશે : “તેં મને નાહવાની ના પાડી’તી !”

મા ઊલટી વઢશે ને કહેશે : “શું કામ રડે છે? ન નાહ્યો એ જ સારુ કર્યું. મારું માન્યું તો કેવો ડાહ્યો કહેવાય! એ તો કોઈ તણાઈ ન ગયું, પણ વખતે તણાઈ ગયું હોત તો ?”

બાળક માતાની ઝેરી દલીલમાં પાછો સપડાશે. રડવાનું સમાધાન થશે. તે કહેશે : “હાશ ! ઠીક થયું. ડૂબી તો ન ગયો !”

તે મોટો થશે; કદી ડૂબી જશે જ નહિ. તે પોતાનાં બાળકોને પણ પાણીમાં જવા દેશે જ નહિ; કારણકે તે ડૂબી જાય !