પણ ક્યાં એણે ગાવું ?
ક્યાં એણે વાતો કરવી ?
ક્યાં એણે રમવું ?
ક્યાં એણે ખેલવું કૂદવું ?
રસોડામાં માને ગડબડ થાય; બધી ગોઠવણ ઊંધી વળે; રસોડું બગડી જાય ! વળી માતા પાઠપૂજા કરતી હોય તો તો તેમાં ભંગ જ પડે ના ?
ત્યારે દીવાનખાનામાં તો પિતાજી છાપું વાંચતા હોય; કાં તો અસીલ માટે કેસ તૈયાર કરતા હોય; કાં તો દરદીને તપાસતા હોય; કાં તો ગામમાં ભાષણ આપવાની નોંધ કરતા હોય. ત્યાં ગડબડ કરવાની રજા ક્યાંથી મળે ?
પણે ઓશરીમાં મોટાભાઈ ને મોટીબેન પાઠ કરતાં હોય ત્યાં પણ ન જવાય, ન રમાય ને ન ગવાય !
એ તો જ્યાં ગયાં ત્યાંથી પાછાં.
કદાચ એકાદ એકાંત ખૂણો મળી ગયો તો બાળકે કલ્પનાથી ઢીંગલી ઢીંગલા રમવું, ખોટું ખોટું ખાવું ને ખોટું ખોટું વાવું.
આમ કાંઈ કલ્પનાશક્તિ ન ખીલે.
કેળવણીશાસ્ત્રીઓનો આ ભ્રમ છે.
આપણે માટે ને આપણા મહેમાનો માટે ટેબલ હોય, ખુરશી હોય, ચટાઈ હોય, જાજમ હોય, વગેરે વગેરે હોય. બાળક માટે ખાસ કરીને રાખેલો કોથળો પણ હોય છે ખરો ?
એની પાસે એનો ભાઈબંધ બેસવા આવે તો એને ક્યાં બેસારવો ?
પણ આપણે ક્યાં જાણવાનોયે પ્રયત્ન કરીએ છીએ કે નાનાં બાળકોને દોસ્તો હોય છે ?