પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૩૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮૨
પરિશિષ્ટ


વળી પાછી પ્રેરણાની વાત નીકળી :–

“છેલ્લી પ્રેરણા તને ક્યારે થઈ હતી ?”

“કાલે અને આજે.”

“કયા વખતે ?”

“કાલે સવારમાં.”

“ત્યારે તું શું કરતી હતી ?”

“હું નિદ્રામાં હતી, અને તેણે મને જાગ્રત કરી.”

“તારા અંગનો સ્પર્શ કરીને ?”

“નહિ, સ્પર્શ કર્યા વિના.”

“તેં તેનો ઉપકાર માન્યો ? તું તેને પગે પડી ?”

ન્યાયાધીશના મનમાં પિશાચની વાત હતી. તેની પ્રેરણાને પિશાચની પ્રેરણા ઠરાવીને તે પિશાચનેજ પગે પડી હતી, એવો અંત લાવવાનો હતો.

“હા, હું તેને પગે લાગી; અને આ મુકદ્દમામાં ઉત્તર આપું, તેમાં ઈશ્વરને સહાય કરવા મેં તેને વિનતિ કરી.”

“પછી તેણે શું ઉત્તર આપ્યો ?”

તેણે કહ્યું કે “હિંમતથી જવાબ આપજે, અને ઈશ્વર તને સહાય આપશે.”

“ત્યારે તારા આ ગેબી નાદો કોઈ વખત ખોટી સલાહ નથી આપતા ?”

“નહિ, કોઈ વખત નહિ.”

“તેણે તને કહ્યું છે કે ચોક્કસ વિષયના ઉત્તર ન આપતી ?”

“કેટલીક વાતો ખાસ રાજાનેજ માટે છે.”

“ત્યારે આ ગેબી નાદ સીધા રાજાનેજ કાને કેમ ન પડ્યા ?”

“તે હું જાણતી નથી; જેવી પ્રભુની ઈચ્છા.”

“શું પ્રભુનો તારા ઉપર ખાસ પ્રેમ છે ?”

જોન આગળથીજ વિચારમાં પડી ગઈ હતી. તેનું મન સ્થિર નહોતું. ઉપરાંત તે થાકી ગઈ હતી. તેની આ સ્થિતિ જોઇ આવી પ્રપંચભરેલી જાળ પથરાઈ.

ન્યાયાધીશોમાં બે ત્રણ માણસો પ્રમાણિક હતા. તેમાંથી એકે ઉભા થઇ કહ્યું :–

“આ સવાલ ઘણો અઘરો છે. તે આ સવાલનો ઉત્તર આપવા બંધાતી નથી.”