પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૩૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮૩
વીર સાધ્વી જોન ઑફ આર્ક

 કોશને ગુસ્સે થઈ પોકાર કર્યો “તમારે એની સાથે લાગતુંવળગતું નથી. આરોપી પોતાની મેળેજ ઉત્તર આપશે.”

જોન હા પાડે કે ના પાડે, પણ તે આ હુમલાથી બચે એમ નહોતું. કારણ કે ધર્મગ્રંથ કહે છે કે, કોઈ પણ મનુષ્ય આ વાત જાણી ન શકે. જોને ઉત્તર આપ્યો, એટલી વાર મારે થોભવું પડ્યું. આ પળ એક વર્ષ જેવી હતી. શ્રોતાઓનાં મન સચેત થઈ ગયાં. જોનના મુખમાંથી મધુર અને નમ્ર સ્વર નીકળ્યો :—

“હું પ્રભુની કૃપા નીચે ન હોઉં તો પ્રભુ મારા ઉપર કૃપા રાખો ! અને જો હું હોઉં તો પ્રભુ મને ચીરકાળ સુધી બક્ષો !”

પછી જોઈ લ્યો એ શબ્દોની અસર ! ઘણી વાર સુધી કોઈ બોલ્યું કે ચાલ્યું નહિ. સઘળાં એક બીજાનાં મોં જોવા લાગ્યાં. આ આશ્ચર્યજનક ઉત્તર જોન કેમ ઘડી શકી ? બીજું કોઈ આવા પ્રપંચથી બચે નહિ.

ન્યાયાધીશે પછી બીજા પ્રશ્નો શરૂ કર્યા; પણ આ પ્રશ્નમાં તેને નિરાશા પ્રાપ્ત થઈ હતી, તેથી બહુ લાગી આવ્યું.

જોને પુરુષનો પેશાક કેમ પહેર્યો ? એ જૂનો ભયંકર સવાલ તેણે એક વાર ફરીથી કાઢ્યો.

“તને સ્ત્રીનાં વસ્ત્ર પસંદ છે ?”

“હા, પણ જો હું અહીંથી છુટું તો – અહીં તો નહિ જ.”

xxxx

બીજી વાર કૉર્ટ સત્તાવીસમી ને સોમવારે મળી, અને ઘણા પ્રશ્નોત્તરો થયા.

“તને વધારે શું વહાલું છે, તારી તરવાર કે તારો ધ્વજ ?”

“મારો ધ્વજ લાખો વાર ઉત્તમ છે. કોઈ વખત તો હું પોતેજ તેને લડાઈમાં ઝાલી રાખતી હતી – એવી મુરાદથી કે મારા હાથથી કોઈનો વધ થતો અટકે.”

ક્યાં યુદ્ધનો ગહન વિષય, અને કયાં આ નાની નિર્દોષ બાળા આ બે વચ્ચે કેટલો તફાવત હતો ! જોન પેાતાનું માથું ઉંચું કરીને વળી ગર્વ થી બોલી “અને હજી મેં યુદ્ધમાં કોઈનો પ્રાણ લીધો નથી.”

આ ઉત્તરથી ઘણા હસ્યા. જ્યારે આ શબ્દો તે બોલી, ત્યારે તે કેવી નમ્ર, મધુર અને પવિત્ર દેખાતી હતી ! કોઈ ધારીજ શકે નહિ કે તેણે માણસોને કતલ થતાં જોયાં છે; એટલી બધી તેની આકૃતિ રણસંગ્રામ માટે અયોગ્ય દેખાતી.