જ સાત બચી આવેલા પાટણવાડિયાને જોયા, એટલે ...ભાઈ મોં ફેરવીને આડું જોઈ ગયા.
“...ભઈ !” મહારાજે કહ્યું : "મારો કાંઈ વાંક હોય તો હું તમારી માફી માગું છું ને આ બધા પણ માફી માગે છે.”
જવાબમાં ...ભાઈએ હરફ તો ન કાઢ્યો, સામે પણ ન જોયું. થોડી વાર વાટ જોઈને આઠેય જણ નીચે ઊતરી ગયા.
[૮]
તે પછી એક દિવસ મહીસાગર-કાંઠાનાં કોતરોમાં રવિશંકર મહારાજ એકલા ચાલ્યા જતા હતા. એમાં છેટેથી બૂમો સંભળાઈ : "એ ઊભા રહો, ઊભા રહો.”
બે આદમી દોડ્યા આવે છે. મહારાજ થંભ્યા. બે હથિયારબંધ પાટણવાડિયા આવી પહોંચ્યા. એમાંથી એકે પોતાના માથા પરથી ફાળિયું ભોંય પર નાખ્યું, ને મહારાજને કહ્યું : "મહારાજ, આના પર બેસો.”
“શું છે, અલ્યા ! કહે ને !”
“પછી કહું એક વાર તમે આના પર બેસો. વાત કહેવી છે.”
“બોલ, શી વાત છે ?” બેસતાં બેસતાં મહારાજે ઓળખ્યો : ગુનો કરીને નાસતો ફરતો એ એક જુવાન હતો એની પાછળ 'વારંટ' હતું.
“વાત એ છે કે, અમે પેલાનું ડોકું ઉડાવી દઈશું.” જુવાન ઉશ્કેરાઈને બોલ્યો.
“કોનું ડોકું ?”
“પેલા ...ભઈનું, વડદલાવાળાનું.”
“શાથી ?”
“એ ગાળો ભાંડે છે.”
“કોને ?”
“તમને. અમારાથી એ નહીં સહેવાય. અમારા સાંભળતાં તમને ગાળો ભાંડે છે. ડોકું ઉડાવી દઈશું !”
“લે બેસ, બેસ ! ડોકું ઉડાવવાવાળો ના જોયો હોય તો ! મને ગાળો