“પણ મારે સ્ટેશને કામ છે.”
“શું ?”
“લાડવા લેવા છે.”
પછી લાડવાની વાત ચાલી. મહારાજે પૂછ્યું: "હેં મહીજી, લાડવા લેવા કોણ આવે ?”
“બધાં: પુરુષો, બૈરાં - ને છોકરાં પણ.”
“તે એ ઘેર જઈને ખાય?”
“ના,છાનામાનાં વાડા પછાડી જ ખાઈ લે.”
“ઘેર લઈ જઈ કોઈને ના આલે?”
“ના રે ના, પેટનાં બાળકોને પણ નહીં.”
“શું કારણ ?”
“હં -હં ... કારણ ન સમજ્યા ? કારણ કે દાણા તો ઘરમાંથી ચોરી કરીને પોટલામાં લાવે ખરાં ને !”
“હેં મહીજી !” મહારાજે થોડું વિરામી જઈને પછી, ગળામાં કંઈક લાકડા જેવું સલવાઈ ગયું હોય ને એ ગળા હેઠ ઉતારવા મથતા હોય તેવી મથામણ કરતે કરતે પૂછ્યું: "તારી વહુ જો એમ કરે તો?”
"શું કરે ?”
“ઘરમાંથી દાણા ચોરી જઈને પછી કોઈને ત્યાંથી લાડવા લઈ, તને ને બાબરિયાને મૂકીને ચોરીથી ખાઈ લે, તો ?”
“તો તો ડોંગારી જ નાખું ને સાસરીનીને !” કહેતે કહેતે મહીજીએ પોતે પકડેલી ડાંગ ઊંચી કરી.
“બાબરિયો કરે તો?”
"તો એને પણ."
“ત્યારે પેલી ગામની બૈરીઓ લઈ જાય્ છે તેનું કેમ?”
“એ તો તેની જાણે લેવા આવે છે.”
“બહુ પાપ બેસે છે, મહીજી! - બહુ પાપ બેસે છે તને. આ ગંધારી સડેલી મીઠાઈ : તેને પણ ચોરીછૂપીથી ગામલોકો ખાય - બૈરી