એને આપણી દુનિયાથી જુદી દુનિયાનો—ઊતરતી ને અસભ્ય, ગમાર અને ત્યાજ્ય દુનિયાનો—આપણે ગણીએ છીએ. રેલગાડીના ડબામાં બિસ્તર પાથરીને આખી પાટલી રોકી બેઠેલો ભણેલો માણસ આ 'માણસાઈના દીવા'ની દુનિયાનાં માનવીને પોતાની સામે ડરી, લપાઈ, સંકોડાઈ ઊભાં રહેલાં નિહાળતો હોય છે, છતાં બિસ્તરની કોર પણ નથી વાળતો; અને કદાપિ એની જોડે વાતચીત આરંભતો હોય છે તો તે એની ભાષાનાં ચાંદૂડિયાં પાડીને એની બે ઘડી મજાક ઉડાવવા માટે.
‘માણસાઈના દીવા’નું અહીં થઈ રહેલું સન્માન આપણને એ કૃતિના રસાનંદમાંથી એમાં રજૂ થયેલ જનતા પ્રત્યેના સ્નેહ તરફ લઈ જાઓ, એવી ભાવના સાથે વિરમું છું.
ત્રીજી આવૃત્તિ વેળા
મહારાજશ્રીએ સૂચવ્યા પ્રમાણે બે-ત્રણ ઝીણા વિગતદોષ આ આવૃત્તિમાં સુધાર્યા છે.
'માણસાઈના દીવા'ને ૧૯૪૬નું 'મહીડા પારિતોષિક' આપવાના સમારંભમાં મારા પિતાશ્રીએ આપેલા ઉત્તરનો પાછલો ભાગ અહીં આપ્યો છે. એ પ્રવચનની નોંધ મારા પિતાશ્રીએ પોતે જ સ્મૃતિમાંથી ઉતારીને તૈયાર કરેલી હોવાથી એમાં આ પુસ્તક સંબંધે લેખકનું જે થોડું આત્મકથન છે તે, તેમની ગેરહાજરીમાં, નવી આવૃત્તિના નિવેદનની ગરજ સારશે તેવી આશા છે.