પૃષ્ઠ:Maro Jel No Anubhav.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૧
ગાંધીજીનો જેલનો અનુભવ.

રસોઈનો કારભાર મિ. મુસા ઇસાકજી તથા ઈમામ સાહેબ મિ. બાવાઝીરે લીધો. આમ જે હિંદીએ 'હમીદીઆ ઇસ્લામીક સોસાયટી'ના પ્રમુખ તથા વેપારી, જેમાંના કોઇએ કદી રસોઇ ખરૂં જોતાં નહિ કરેલી, તેના હાથની રસોઇ ખાધી તેના સારા નસીબ સમજું છું. જ્યારે ઇમામ સાહેબ અને તેમની સાથેના છૂટ્યા ત્યારે રસોઇનો વારસો મને ઉતર્યો. મને કંઇક અનુભવ હોવાથી જરાએ અગવડ નહિં આવેલી. ચાર દિવસજ મારે ભાગે તે કામ રહ્યું. હવે (એટલે આ લખતી વેળા સુધી) તે કામ મિ. હરિલાલ ગાંધી કરે છે. અમે જેલમાં દાખલ થયા ત્યારે રસોઇ કોણ કરતું હતું. તે બાબત ઉપરના મથાળા હેઠળ ન આવતી હોવા છતાં સગવડને સારૂ આપું છું.

હિંદીઓ માટે જુદી કોટડીઓ.

અમે જેલમાં દાખલ થયા ત્યારે સુવાની ત્રણ કોટડીઓ હતી. તેમાં હિંદીઓનો સમાવેશ કર્યો હતો. આ જેલમાં હિંદીઓ અને કાફરા જેલીઓને અલગજ રાખવામાં આવતા હતા.

મરદોની જેલના બે વિભાગ છે. એક યૂરોપીઅનને સારૂ, અને બીજો કાફરાઓ સારૂ - જેમાં બિન સફેદ (ગોરા નહિ એવા) માણસોનો સમાસ થાય છે. એટલે જો કે હિંદીને કાફરના વિભાગમાં રાખી શકાતા હતા, છતાં જેલરે તેમને સારૂ સગવડ ગોરાના વિભાગમાં કરી હતી.

કોટડી.

કેદીઓને સારૂ નાની કોટડીઓ હોય છે. અને દરેક કોટડીમાં દશ પંદર કે વધારે કેદીનો સમાવેશ થાય એવી ગોઠવણી હોય