પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૨૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ચાહતી હોય, તો તેણે મુક્ત મનથી જ આવવાનું છે."

"મુક્ત મનથી?" જલદેવી ચમકીને બોલી ઊઠી.

"ને તને હજુ વિશ્વાસ છે, એમ ને?"

"મુક્ત મનથી!" જલદેવી જાણે કોઈ મંત્ર રટતી હતી.

દાક્તર: "નાદાન! તારી અક્કલ ઠેકાણે નથી લાગતી. જા, તારે રસ્તે ચાલ્યો જા. તારી સાથે અમારે કશી જ નિસ્બત નથી."

પ્રવાસીનું તો આ બધી ઠેકડી કે ધમકી સામે લક્ષ જ નહોતું. પોતાના ધ્યાનમાં એ અવિચલ ઊભો હતો. એણે ખિસ્સામાંથી ઘડીયાળ કાઢીને જોયું. પછી થોડો જલદેવીની નજીક આવ્યો, ને બોલ્યો: "દરિયાપરી! મારે જહાજ પર જવાનો સમય થયો છે. મેં મારી ફરજ બજાવી છે: મેં તને આપેલો કોલ પાળ્યો છે. એટલે તારે હવે કાલની સાંજ સુધીમાં વિચાર કરી રાખવાનો છે."

"અહીં કશો વિચારબિચાર કરવાનો છે જ નહિ." દાક્તર ફરીવાર તપ્યા.

એની સામે નજર કર્યા વગર વિદેશીએ જલદેવીને કહ્યું: "અત્યારે તો હું જહાજની સાથે ખાડીમાં જાઉં છું. કાલે રાતે હું અહીં આવીને તને શોધીશ. તું અહીં બાગમાં જ ઊભી રહેજે; કારણ કે મારે તારી એકલીની સાથે જ છેલ્લી પતાવટ કરવી છે. સમજી, દરિયાપરી? અત્યારે તો હું રજા લઉં છું; પણ જોજે, હો, ભૂલતી નહિ: કાલે રાતે-"

"નહિ નહિ." જલદેવી વિનવણીના સ્વરે બોલી: "કાલે ન આવશો - અહીં કદી પણ ન આવશો."

એ જવાબની અવગણના કરીને પ્રવાસી જાણે પોતાનું આગલું વાક્ય પૂરું કરતો હોય તે રીતે બોલ્યો: "અને એ વખતે જો તારી ઇચ્છા મારી સાથે મહાસાગરે આવવાની હોય -"

"ઓહ! મારી સામે એમ ન તાકો." જલદેવી વચમાં જ બોલી ઊઠી.

વિદેશીએ અધૂરું વાક્ય આગળ ચલાવ્યું: "તો તું ઊપડવાને માટે તૈયાર રહેજે."