પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૨૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દાક્તરે જલદેવીને કહ્યું: "તમે ઘરમાં જાઓ."

"મારાથી નથી જવાતું: મારા પગ નથી ઊપડતા."

પ્રવાસીએ ઉમેર્યું: "યાદ રાખજે, દરિયાપરી! કે કાલે જો તું મારી સાથે નહિ આવે, તો પછી બધી વાતનો અંત સમજવો."

"અંત!" જલદેવીએ ધ્રુજતાં ધ્રુજતાં એની સામું જોયું. "સદાને માટે અંત?"

ડોકું ધુણાવીને વિદેશીએ કહ્યું કે, "હા; પછી તો, દરિયાપરી, કોઈથી એ નિર્ણય નહિ ફરી શકે. હું ફરી કદાપિ આ ધરતી પર પગ નહિ મૂકું. તું ફરી કદી મને મળી શકશે નહિ, ને મારા સમાચાર પણ તને પહોંચશે નહિ. પછી તો મને તારા પૂરતો તું મરી ગયેલો જ માનજે. માટે જે કરવું હોય તેનો શાંતિથી વિચાર કરજે. રજા લઉં છું."

એમ કહીને એ વાડ પાસે ગયો. ઠેકીને બીજી બાજુ ઊતરી ગયો. થોડી વાર સ્થિર ઊભો રહ્યો. છેલ્લું વાક્ય બોલ્યો: "દરિયાપરી! કાલે સાંજે સફર માટે તૈયાર રહેજે. હું તને તેડવા આવીશ."

ધીરે પગલે, શાંતિથી, કોઈની દહેશત વિના દરિયાકાંઠાની પગથી ઉપર એ પ્રવાસી ચાલ્યો ગયો. જલદેવીની નજર થોડી વાર સુધી એની પાછળ પાછળ ચાલી ગઈ. પછી જાણે સ્વગત બોલતી હોય તેમ એણે ઉચ્ચાર્યું: "મુક્ત મનથી! એણે કહ્યું, જોયું? એણે કહ્યું કે જો મારે આવવું હોય તો મુક્ત મનથી આવવું."

દાક્તર બોલ્યા: "દેવી! તું શાંત પડ. હવે શું છે? ખુદ તારા જ મોંએથી એણે સાંભળી લીધું કે એને ને તારે કશી નિસ્બત નથી. આટલેથી જ આખી વાત ખલ્લાસ થઈ જાય છે."

"ત્યારે...કાં તો કાલે, નહિ તો પછી સદાને માટે ખલ્લાસ. એ જહાજમાં મહાસાગરે નીકળી જશે પછી -!"

"પછી કશું નહિ, દેવી! આપણે છૂટ્યાં!"

"પણ કાલે એ આવશે તો?"

"તો તને એ મળી જ ન શકે એવું હું કરવાનો: હું એને પોલીસના