'તમને ગમે તેમ કરો' એક વાક્ય પોતાને ખટકવા લાગ્યું : આવા પતિને ઉદાર બનવાનો શો હક છે ? એ કેવી કદરૂપી ઉદારતા છે ! કેમ જાણે એ મમતાની સખાવત કરતો હોય ! મને ગમે તેવું કરવાની મંજૂરી આપવાનો આવા પુરુષને શા માટે હક મળ્યો ?
વળતા જ દિવસથી નિયમિત 'રિહર્સલ' શરૂ થઈ ગઈ. વહેલી રસોઈ ઢાંકી રાખી એ ચાલી જતી. ધણી પોતાને ટાણે આવીને પોતાની મેળે જમી લેતો.
રિહર્સલ સંધ્યાકાળ સુધી ચાલતી. બે-ત્રણ વાર અસૂર થઈ જતાં પતિ એને તેડી લાવવા ગાડી કરીને ગયો હતો. પાછાં વળતી વેળા વાટમાં તનુમતી રિસાયેલી રહેતી.
નાટકના દિવસે તનુમતી જ્યારે જવા નીકળી ત્યારે પતિએ પૂછ્યું : "મારા માટે ટિકિટ લીધી છે ને ? પાંચ રૂપિયાની લીધી છે ને ? મારે નજીકમાં બેસીને જોવું છે."
"ના, મેં નથી લીધી તમારી ટિકિટ."
"કંઈ નહિ. સાંજે મળશે તો ખરી ને? અમે દસ-બાર જણા આવીશું. બીજા ભાઈઓને પણ તમારું કામ જોવાનું ખૂબ દિલ છે. હું આવીને જ ટિકિટો લઈ લઈશ. તું તારે જા."
તનુમતી થોડીવાર થંભી. પછી તેને પતિને કહ્યું: "એક વાત કહું ?"
"કહે ને!"
"તમે નાટકમાં ન આવશો..."
"કેમ?"
"તમને દેખીશ તો હું મારો પાઠ ભૂલી જઈશ. મારાથી પાઠ થઈ જ નહિ શકે."
પછી એ ક્યારે ગઈ તેનું ભાન પુરુષોત્તમને નહોતું રહ્યું. દુકાન તરફ એ ચાલ્યો ત્યારે મોટરની હડફેટે આવતો બચી ગયો.
સાંજે પ્રદીપો ચેતાયા ત્યારે-
કુમારભાઈની રંગ-પીંછી થકી કંડારેલા વાંકાં કાળાં ભમ્મરોએ