પૃષ્ઠ:Murakhraj ane tena Be Bhaio.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હાથપગ વડે કામ કરવા કરતાં મગજ વડે કામ કરવું એ વધારે ફાયદાકારક છે."

મૂરખરાજ તાજુબી પામ્યો ને બોલ્યો : "ત્યારે તો હું મૂર્ખો કહેવાઉં છું એમાં ખોટું નહીં."

સેતાને પોતાનું ભાષણ જારી રાખ્યું : "પણ એટલું યાદ રાખવું કે મગજથી કામ કરવું એ સહેલ નથી. મારા હાથ ઉપર આંટણ નથી તેથી તમે લોકો મને આળસુ ગણી બીજાની પછી ખાવાનું આપો છો. તમે ખાતરીથી માનજો કે હાથથી કામ કરવા કરતાં મગજથી કામ કરવું એ સો ગણું મુશ્કેલ છે. કેટલીક વાર મગજ ચિરાઇ જાય છે."

મૂરખરાજ વિચારમાં પડ્યો ને બોલ્યો : "એમ છે તો એટલી તકલીફ શાને સારુ વેઠો છો ભાઈ ? માથું ચિરાય એ કંઇ ઠીક લાગતું હશે ? હાથપગ વતી સહેલું કામ કરવું એ ઠીક નહીં ?"

સેતાન બોલ્યો : "હું એટલી તકલીફ તમો લોકોને સારું ઉઠાવું છું. જો હું તેમ ન કરું તો તમે બધા સદાયના મૂર્ખા રહો. મૂરખને જ્ઞાન આપવું એ જ અમારા જેવા માણસોનું કામ છે. તેથી અમે પરમાર્થી કહેવાઇએ છીએ. મને મગજથી કામ કરતાં આવડે છે તે બધું તમને બધાને શીખવવા તૈયાર છું."