કરી ગયા. જતાં જતાં તેમણે જાપાની સેનાપતિના ફરમાનને
માન્ય કરવાની આજ્ઞા આપી, ત્યારે એમના આશ્ચર્યનો પાર
ન રહ્યો.
કર્નલ જગન્નાથરાવ ભોંસલે મરાઠા જેવી શૌર્યવાન જાતિમાં જન્મેલા છે. મરાઠાઓએ હિંદના ઇતિહાસમાં શૌર્યનાં તેજસ્વી પ્રકરણો પોતાના રક્તથી આલેખ્યાં છે. મરાઠા જુવાનોના દિલમાં દેશ પ્રત્યેની અપાર ભક્તિનાં જે દર્શન થાય છે તેનું બીજારોપણ બાલવયમાં થાય છે. આવી જાતિને વારસામાં શૌર્યનો ઇતિહાસ મળ્યો છે.
કર્નલ જગન્નાથરાવ ભોંસલે, ઇતિહાસપ્રસિદ્ધ ભોંસલે કુટુંબમાંથી ઊતરી આવેલા છે. ભોંસલે કુટુંબે દેશની સેવામાં અગત્યનો હિસ્સો આપેલો છે. હિંદ ભોંસલે કુટુંબના વીરત્વથી પરિચિત છે. ઉપરાંત ભોંસલે કુટુંબ સીંધિયા રાજકુટુંબ સાથે સકળાયેલું હોઈને, રાજકુટુંબનો માન મરતબો, મોભો પ્રતિષ્ઠા ધરાવે છે. વફાદારી અને બલિદાન એ તો એમના કુટુંબનો ઉમદામાં ઉમદા ગુણ છે. એટલે ભોંસલે કુટુંબના સભ્યો જ્યાં જ્યાં પથરાયા છે ત્યાં ત્યાં ઉજ્જ્વલ કારકીર્દિ પ્રાપ્ત કરી શકાય છે.
બેલગામ જીલ્લાના તીરોડા નામના નાનકડા ગામડામાં જગન્નાથરાવ ભોંસલેનો જન્મ થયો હતો. પિતા સાથે ત્યાં બાલપણ વ્યતિત કર્યા પછી, કેળવણી માટે તેમને સાવંતવાડી સ્ટેટમાં આવવું પડ્યું, ત્યાં તેમણે પ્રાથમિક કેળવણી પૂરી કરી. પ્રાથમિક કેળવણી અને માધ્યમિક કેળવણી તેમણે એટલી ઝડપથી પૂરી કરી કે જ્યારે તેમને દહેરાદુનની પ્રીન્સ ઓફ વેલ્સ મિલિટરી કોલેજમાં દાખલ થવાની પરવાનગી મળી, ત્યારે તેમની વય માત્ર ચૌદ વર્ષની હતી.