હિંદનો છે. આજે તમારી માતૃભૂમિ તમારી પાસે બલિદાન
માગે છે. રણમેદાનમાં જઈને પોતાનાં લોહી વહાવનાર જુવાનો મને પૂછતા નથી કે અમારે કેટલું લોહી આપવું? તેઓ જાણે છે કે મૃત્યુ જ એમને માટે આખરી અંજામ છે. ત્યારે તમે વેપારીઓ મને કેમ પૂછી શકો કે કેટલાં નાણાં જોશે? આઝાદ હિંદ સરકાર તમારી પાસેથી સ્વેચ્છાપૂર્વકનો ફાળો માગે છે.’
નેતાજીનાં આવાં વચનથી, હિંદી વ્યાપારીઓ જાગ્રત થયા. જાણે ચિરકાળની નિદ્રામાંથી કોઈ ચેતનવંતો હાથ એમને જગાડી રહ્યો હતો. ‘ઊઠ! હવે પ્રભાત થયું છે. જાગ અનેં કર્તવ્યને પંથે પરવર!’
વેપારીઓ પણ જાગ્રત થયા અને તેમણે નેતાજીને વિશ્વાસ આપ્યો, ‘અમે આઝાદ હિંદ સરકારને નાણાવિષયક ચિંતાથી મુક્ત કરીએ છીએ.’ અને તેમણે ‘નેતાજી ફંડ કમિટી’ની રચના કરી. એ કમિટીએ હિંદી વ્યાપારીઓ પાસેથી નાણાં ઉઘરાવવાનું અને આઝાદ હિંદ સરકારની પ્રવૃત્તિઓને અબાધિતપણે ચાલુ રાખવાનું કાર્ય સફળતાથી પાર પાડ્યું. એ કમિટીના ઉપપ્રમુખ તરીકે શ્રી. હેમરાજ બેટાઈ હતા.
આ કમિટીએ બીજું જે કાર્ય કર્યું, તે વ્યાપારીઓને સંગઠ્ઠિત કરવાનું કાર્ય હતું. નેતાજી અને શ્રી. બેટાઈ વચ્ચેનો સંપર્ક પણ એ રીતે વધતો જ રહ્યો.
આઝાદ હિંદ સરકાર અને જાપાનના લશ્કરી વડાઓ વચ્ચેની મંત્રણાઓના પરિણામે હિંદ પર વ્યવસ્થિત આક્રમણ કરવાનો આઝાદ હિંદ સરકારે નિશ્ચય કર્યો અને જ્યારે રણમોરચા પર આઝાદ હિંદ ફોજ દુશ્મન સામે યુદ્ધમાં ઊતરી, ત્યારે નેતાજી એક દિવસ રણમેદાન પર સૈનિકો વચ્ચે તો બીજે દિવસે રંગુનમાં હોય અને ત્યાંથી વળી બેન્કોક, સીંગાપુર, કોલાલમપુર વગેરે સ્થળે વિમાનમાં ઘૂમતા હતા અને