પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
48
નિરંજન
 


“એમ કેમ?"

"પોતે ચોક્કસપણે માનતા કે નોટ્સ કાઢવી એ અપ્રામાણિક ધંધો છે, પૈસા કઢાવવાની બાજી છે. પોતે મરતાં પહેલાંનો જે પત્ર લખતા ગયા છે તેમાં પણ લખ્યું છે કે મારી લખેલી થોકડાબંધ નોટોમાંથી એક પણ નોટ છપાવી પ્રસિદ્ધ કરશો નહીં. વિદ્યાપીઠને એના પુસ્તકભંડારમાં રાખવા આપી દેશો.”

"પણ એમણે આપઘાત કર્યો?” નિરંજનના મનમાં એ એક જ વાત ઘોળાઈ રહી રહી.

“સુંદર રીતે આપઘાત કર્યો.”

"આપઘાતની રીત પણ સુંદર હોય છે શું?"

“હા જ તો દસ વર્ષની પ્રોફેસરશિપ દરમિયાન કવિતા વિશે જે જે તારતમ્ય પોતાને જડેલું તે બધું એમણે છેલ્લે દિવસે બેસીને લખી નાખ્યું. આગલા દિવસે વર્ગમાં મારા પ્રશ્નનો ખુલાસો નહોતો કરી શક્યા તે ખુલાસો લખીને એક જુદા પરબીડિયામાં મૂકતા ગયા. પછી રાત્રિએ ઘરમાં બેઠાબેઠા ગોલ્ડસ્મિથની 'વેરાન ગામડું' નામની કવિતામાંથી 'ગ્રામ મહેતાજી'નો ફકરો બોલતા હતા. અમે હોસ્ટેલમાં રહેતા હતા તેની નજીક જ એમનો બંગલો હતો. રાતના બે સુધી અમે એમને અંગ્રેજી, સંસ્કૃત, ફારસી અને ગુજરાતી ભાષાના ઉત્તમ ફકરા લલકારીને બોલતા સાંભળેલા. સવારે એમનું શબ પલાંઠીભર પડેલું ને બીજી કોઈ નિશાની દેહ પર નહોતી. તે પરથી લાગ્યું કે એમણે શ્વાસનિરોધ જ કર્યો હશે. પાસે એક ચિઠ્ઠી પડેલી, તેના પર લખેલું કે 'વસિયતનામું'. અંદર ફક્ત આટલા જ શબ્દો હતાઃ 'મારો વિદ્યાપ્રેમ મારી પુત્રી સુનીલાને સોંપી જાઉં છું'.

"એ સુનીલા કોણ? આપણાં –"

"હા, હા, તમને તે દા'ડે ઉગારનાર જ સુનીલા.”

નિરંજન લજવાયો. એ લજ્જાને રોળીટોળી નાખવા પોતે ઝટપટ કહ્યું: “વારુ ત્યારે, મને જેની ઝંખના હતી તેવા એક વિદ્યાગુરુને મેં આજે