પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
62
નિરંજન
 


“રાષ્ટ્રજીવન તો બધા જીવનનું ઝરણ છે.”

ત્રણેક જુવાનો આટલું કહી રહ્યા એટલે નિરંજને કડી સાંધી: “હાં, માટે જ મને લાગે છે કે એ ઝરણનાં જળ ઝીલવાને આપણે આપણા નાનકડા જીવનનું જળાશય સાફ કરવું જોઈએ. એથી વધુ કશાની જરૂર નથી.”

"એટલે શું?” ન સમજનારાઓમાંથી એકે પૂછ્યું.

"એટલે આપણે વિદ્યાલય-જીવનનું જ સ્વાભિમાનઃ કૉલેજ પેટ્રિયોટિઝમ: એ આપણી સમસ્ત અસ્મિતાનું મૂળ છે. આપણે એ સંસ્થા પ્રત્યેનો સમૂહપ્રેમ ચેતાવવો પડશે.”

એક જણે કંટાળાની સાથે તોછડાઈનું, આછકલાઈનું હાસ્ય ઉમેરીને લાંબે સાદે ટકોર કરીઃ “હવે ભાઈ, આ કૉલેજ તો આપણી ચાર વર્ષ પૂરતી ધર્મશાળા છે.”

“વર્ષોની માપણીથી જો જીવનનાં ક્ષેત્રોને માપવા બેસશું." નિરંજનને તરત વિચાર સ્ફૂર્યો , “તો તો કોલેજ, કુટુંબ, દેશ કે બાયડી-છોકરાં, તમામ આપણી થોડાં કે વધુ વર્ષોની ધર્મશાળાઓ જ બની રહેશે. ને 'આપણે શું?’ એમ વિચારીને રાતવાસો પૂરો કરી ચાલ્યા જનારા મુસાફરો એ ધર્મશાળાના ઓરડાને ઉકરડો જ કરી મૂકશે.”

“એટલે શું અભ્યાસને ભોગે કૉલેજનું સ્વાભિમાન રમવા બેસવું?”

“સ્વાભિમાનની કંઈ રમત નથી રમવાની. સંસ્થાપ્રેમ જાગ્રત થશે એટલે અભ્યાસમાં નવીન જ ઉમળકો સિંચાશે. એ પ્રેમ અને અભિમાનની લાગણી ભણતરની અંદર એક એવી સંજીવની છાંટશે કે રાત બધી ઊંઘના ભારે ઢળી પડતાં પોપચાં પર પાણીની ઝાલકો છાંટવાની અને ચાના ઊના ઊના ઉકાળા ચૂસવાની જરૂર નહીં રહે.”

એક પારસી વિદ્યાર્થી ત્યાંથી બહાર નીકળી ગયો. પરસાળમાં જઈને એણે કોઈને કહ્યું: “સાલો ગાંધીઆઇટ ખરો કે ની ! એટલે ચાની વિરૂઢ ભાસન ઠોકેચ."

લગભગ મૂંડાવેલ હોય તેવા લાગતા માથા પર ખાદીની ટોપી