મરણમૂર્છામાં પડેલી દીઠી એટલે હાથમાં વીણા લઈને જયદેવે પોતાની
એક અષ્ટપદી ગાવા માંડી; એક એક કડી ગવાતી ગઈ તેમ તેમ
ક્રમે ક્રમે મૂર્છા ઘટતી ગઈ અને અષ્ટપદી સમાપ્ત થતાં પૂર્ણ ભાનમાં
આવીને નવું જીવન પામી પતિને ભેટી.
આ રસિક દંતકથાનો ઉલેખ આ શ્લોકમાં છે. ‘ગીતગોવિન્દ’નો અનુપમ કવિ જયદેવ સર્વને જાણીતો હોવો જ જોઈયે.
“તજી સ્વપ્ન જાગી” — મૂર્છાવસ્થા તે એક પ્રકારની સ્વપ્નાવસ્થા જ માનીછે.
શ્લોક ૧૮.
શ્લોક ૧૬ મા તથા ૧૭ મામાં મહાશ્વેતાની અને જયદેવની વિણાઓનું વર્ણન મૂકવાનો ઉદ્દેશ આ શ્લોકમાં જણાશે. એ વિણાઓ કરતાં પણ સોગણું અધિક માધુર્ય ત્હારામાં આજ હું પૂરીશ; એમ વીણાને કહે છે.
શ્લોક ૧૯.
આ વિરાગિણીના વિરાગનું કારણ તેના પૂર્વ વૃત્તાન્તમાં છે; નિર્દોષ છતાં અન્યાયી જગત દોષિત ઠરાવેલી એ પૂર્વવૃત્તાન્તનો સાર છે. આ હેના પૂર્વવૃત્તાન્ત તરફ ઇશારા શ્લો. ૭ મામાં તથા ૧૫મામાં છે; આ (૧૯ મા) શ્લોકમાં ‘નિષ્ફર જગ–અપવાદ’ અને ‘ક્રૂરા જગના ન્યાય’ એ વચનોથી એ પૂર્વ વૃત્તાન્તનું કાંઈક વિશેષ સ્પષ્ટતાથી દર્શન થાય છે.