પૃષ્ઠ:Pankaj.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કીર્તિ કેરા કોટડા : ૧૩૭
 

મુકદ્દામાએ વિહારીલાલને પ્રધાનપદ સુધી ચડાવ્યા.

તેઓ વિસ્મય પામી બોલ્યા :

'ત્યારે તમે શું મને ઓળખીને મારી સાથે બેઠા હતા?'

'હા, જી. આપને જોતાં બરાબર મેં ઓળખ્યા, અને મને લાગ્યું કે આપની ઓથે હું પકડાતો બચી જઈશ. થયું પણ તેમ જ.'

વિહારીલાલને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે તેમની સાથે બેસવા આવનાર મુસાફર એક આરોપી હતો. નહિ તો તેઓ વિવેક કરી, તેની કાળજી રાખી, પોતાની પ્રધાન તરીકેની કારકિર્દીનું બયાન ભાગ્યે જ કરત.

'હું પ્રધાન હતો એવી ખબર તમને ક્યાંથી પડી?' તેમણે પૂછ્યું.

'બે માણસની વાત ઉપરથી. આપના ડબા પાસેથી પસાર થતાં બે માણસોએ આપને સલામ કરી; અને સહજ આગળ વધી કહ્યું...'

'શું કહ્યું?'

‘આપને કહેવા સરખું નથી. ભાવાર્થ એટલે જ હતો કે આપ પ્રધાનપદ ઉપર હતા ત્યારે જે પ્રતિષ્ઠા ભોગવતા તે એ પદ સાથે ચાલી ગઈ હતી.' મહાવીરે કહ્યું.

વિહારીલાલ વગર બોલ્યે પાછા પત્રમાં જોવા લાગ્યા. છતાં તેમનું ધ્યાન બન્નેના વાર્તાલાપ તરફ જ હતું.

'આમ ભાગી આવવાનું કારણ?' જયંતે પૂછ્યું.

'કારણ? મને લાગ્યું મારું જીવન કેદખાને જ પૂરું થવા સર્જાયેલું છે. આ પંદર વર્ષમાં મારાં માતાપિતા અને મારી પત્ની મૃત્યુ પામ્યાં. એક દીકરી છે તે કેાઈ સગાંને ઘેર ઊછરે છે. મને થયું કે જીવનમાં એક વખત એનું મુખ જોઈ લઉં.' મહાવીરના કંઠમાં સહજ રુંધામણ થઈ.

‘પણ તમે રજા માગી આવી શક્યા હોત !'