નાદથી જયંતકુમારને વધાવી લીધો, અને પુષ્પવૃષ્ટિ કરી તેને ભાવભર્યો આવકાર આપ્યો.
પરંતુ તેનું હૃદય જયઘોષને સાંભળતું નહોતું–પુષ્પસ્પર્શને તે ઓળખતું નહોતું તેના હૃદયમાં એક જ પ્રશ્ન ઘૂમ્યા કર્યો :
જયઘોષ અને પુષ્પવૃષ્ટિનો તે અધિકારી હતો? કયા ત્યાગ ઉપર એ કીર્તિ–વાવટા ફરકતા હતા ? એ વાવટા ક્ષણ પછી તૂટી ફાટી નહિ જાય?
રાવબહાદુર વિહારીલાલને લેવા માટે મોટરકાર આવી હતી. તેમને હવે એ દુઃખ ન થયું કે તેમના પ્રધાનપદ વખતનું સામૈયું આજ અદ્રશ્ય થઈ ગયું હતું. તેમને લાગ્યું કે એ અદ્રશ્ય થયું એ જ બરાબર થયું છે. સરકારને સાથ આપવામાં તેમનો ત્યાગ કેટલો?
જયંતકુમાર અને વિહારીલાલ પોતપોતાને માર્ગે ચાલ્યા ગયા. મહાવીર ક્યાં અદ્રશ્ય થઈ ગયો છે તેમણે જાણ્યું નહિ. પરંતુ એ અદ્રશ્ય થયા છતાં એ બન્ને રાજદ્વારી વીરોના હૃદયમાંથી તે દહાડે મહાવીર ખસ્યો નહિ.
કીર્તિ મેળવવા જાતને પણ હોમી દેવી પડે, સુખને પણ હોમી દેવું પડે, અને સંસારને પણ હોમી દેવો પડે ! નહિ ?
પરંતુ તેને કીર્તિની જરૂર પણ ક્યાં હતી? ભીષણ ત્યાગ કીર્તિનું પણ બલિદાન માગે છે !
સેવાનું સૂત્ર કયું ? બલિદાન સર્વસ્વનું. કીર્તિનું પણ.