'ના, સાહેબ.'
'લોહીનો ડાઘ, કે એસીડનો ઉઝરડો, અગર ક્લોરોફાર્મની વાસ...'
'કશું જ નહિ, મને તો બહુ સારા માણસ લાગતા હતા. ફક્ત આજ આમ ખૂનની વાત બારણાં પાછળથી સાંભળી અને હું આપની પાસે દોડી આવ્યો. મારાથી ઘરમાં જ ન જવાયું ને?'
'તેં ઠીક કર્યું. વારુ, એ રતિલાલ ધંધો શો કરે છે?'
‘ધંધો ? નિશાળમાં માસ્તર છે.'
'માસ્તર ?'
ખૂન થયું હોય એટલી ચમક અમલદારને થઈ. રતિલાલ નામ જાતે ગુજરાતી અને શિક્ષકનો ધંધો ! અમલદારને આકાશ પાતાળ એક થઈ જતાં લાગ્યાં ! શિક્ષક તે ખૂન કરે ? અને તે પણ રતિલાલ નામ ધરાવતો શિક્ષક? હા, શિક્ષકો અને પરીક્ષકોને ખૂનની તક પરીક્ષા આપે છે, પરંતુ આવું ધારી ઢબે ખરેખર ખૂન તો શિક્ષકથી ન જ થાય !
ત્યારે એણે સાંભળ્યું શું ? અમલદારે પોતાની નોંધ કાઢી. રતિલાલ અચૂક રીતે સૂર્યકાન્ત અને સુલતાનું ખૂન કરવાનો હતો !
શું થશે ?
થાણામાં જઈ અમલદારે કેટલાક મદદનીશોને પાસે બોલાવ્યા, અને પૂછ્યું :
'સૂર્યકાન્ત નામનો કોઈ માણસ જાણવામાં છે ?'
બદમાશોનાં નામ બધા પોલીસ અમલદારોની જીભને ટેરવે હતાં. પણ કોઈ બદમાશનું નામ સૂર્યકાન્ત ન હતું.
શંકાશીલ વર્તનવાળાં નામોમાં પણ કોઈ સૂર્યકાન્ત દેખાયો નહિ. ફિંગર પ્રિન્ટની યાદીમાં પણ કોઈ સૂર્યકાન્ત જડી આવ્યો નહિ
'સાહેબ, એક સૂર્યકાન્ત મને યાદ આવે છે.' એક સિપાઈએ કહ્યું.
'તો પછી બોલ ને ? એ કોણ છે? ક્યાં રહે છે?' અમલદારે