પૃષ્ઠ:Pankaj.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મૂર્તિ પૂજા : ૪૯
 

'ભાઈ, તમને કાંઈ થાય છે? ' નોકરે વાત્સલ્યથી પૂછ્યું.

'ના. કેમ ?'

'અંદર શું બોલતા હતા ?'

'એ તે એની જોડે જરા વાત કરતો હતો !'

'કોની જોડે ?'

'મૂરખ, સમજતો નથી ?'

નોકરના દિલમાં ફરી કંપ થયો. સાંજે બીતે બીતે ઓરડી સાફ કરવા જતાં તેના પગ પાછા પડતા હતા. જેટલા દેવનાં નામ આવડતાં હતાં તેટલા દેવનાં નામ લેતા તે અંદર ગયો. ત્યાં કોઈ જ નહોતું. ખુરશી અને ખાટલાની સામે હતી એક માત્ર છબી. ઘડીભર નોકર તે તરફ જોઈ રહ્યો.

'કેવાં હતાં બા ! જાણે લખમીનો અવતાર !'

છતાં નોકરનું લક્ષ સુરેન્દ્ર તરફ જ હતું. ઓરડીમાં આવી સુરેન્દ્ર શું કરે છે અને શું બોલે છે એની તે હવે દરરોજ બાતમી રાખવા લાગ્યો. સુરેન્દ્ર બહાર આવતો ત્યારે કોઈને કાંઈ લાગતું જ નહિ. તે પ્રસન્નચિત્ત વાચાળ અને ઉદ્યોગી બની ગયો હતો. તથાપિ ઘણો સમય તે સૂવાની ઓરડીમાં જ કાઢતો.

છબી સાથેની વાતચીત દિવસે દિવસે વધવા માંડી. ઘરમાં આવતાં બરાબર પોતાની પ્રિયતમાને નિહાળવા 'હું આવ્યો છું' કહી તે અંદર ધસતો. ઘર બહાર જતી વખતે તો મોટેથી કહેતો :

‘હું જરા જઈ આવું. વાર નહિ કરું.'

નોકરને સમજ પડતી નહિ. આ ડાહ્યો સુરેન્દ્ર હવામાં–છબી જોઈને વાત કરે એ શું ? ક્ષણ વાત થાય. ઘડી વાત થાય, કોક દિવસ બોલી જવાય; પરંતુ છબી જાણે જીવતી પત્ની જ હોય એમ સતત તેનું સાનિધ્ય શોધાય અને સતત વાર્તાલાપ ચાલે ત્યારે તેના મગજની અસ્થિરતા વિષે શંકા થાય — અરે, ખાતરી થાય એમાં શી નવાઈ ?

ભાનુ તથા મનહરને આ બધી ખબર નોકર આપ્યા કરતો.