વચ્ચે પ્રસંગ ઉપજાવી તેઓ મને મારું નોકરપણું ભૂલવા દેતા નહિ. નોકરને વગર વાંકે પણ ધમકાવી શકાય છે. વગર વાંકે પણ નોકરને ધમકાવી દબડાવી ભયભીત રાખવા એ સુવ્યવસ્થાનું સૂત્ર મનાય છે. તે ધોરણે બીજાઓના દોષ ઉપર ગુસ્સે થયેલાં શેઠાણી મને પણ તેવો દોષ ન કરવાનું કહી ધમકાવતાં.
પરંતુ જ્યારે શેઠાણીએ શેઠને એક હુકમ કર્યો ત્યારે મને લાગ્યું કે મારું જીવતર અને મારી મહેનત સફળ થયાં.
'સાંભળો છો ને? આ કુંદનને આપણા બગીચામાં જ રાખીએ. પાસે હોય તો કંઈ કામ બતાવાય, આ તો દૂર રહે એટલે એને કાંઈ કામ બતાવાતું નથી.'
મારા દૂર રહ્યાના કાણે કામ ઓછું બતાવાતું હતું એ અભિપ્રાય શેઠાણીનો ભલે હોય, મારો અભિપ્રાય તેવો નહોતો. છતાં શેઠાણીના કથનથી મને સંતોષ અને ગર્વ થયાં. મારા કામથી તેમને તુષ્ટ કરી શક્યો છું એની મને ખાતરી થઈ.
'પણ એને રાખીશું ક્યાં ?' શેઠે પૂછ્યું.
‘એને રહેવાને વળી કેવડી જગા જોઈએ? બેત્રણ ખોલડાં કાઢી અપાશે.' શેઠાણી બોલ્યાં.
પાળેલા કૂતરાને રોટલીને વધ્યોઘટ્યો ટુકડો ફેંકાતો હોય તેમ આ વધારે પડતી ખોલડીઓ મારા તરફ ફેંકાતી હતી. કૂતરાની માફક નોકરને પણ સ્વમાન હોતું નથી.
'પણ એ તો બૈરાંછોકરાંવાળો છે. હમણાં જ મેં એના પગારમાં પાંચ રૂપિયા વધારી આપ્યા.' શેઠે કહ્યું.
છ-સાત વર્ષની સખત નોકરી પછી શેઠે મારા વીસના પગારમાં પાંચ રૂપિયા પગાર વધારવાની ઉદારતા બતાવી હતી ખરી.
'તે એનાં બૈરાંછોકરાંને અહીંથી કોઈ લઈ જવાનું નથી ને ? ખોલીઓનું ભાડું ન લેશો. એટલી એને રાહત આપો !'
મારાં બૈરાંછોકરાં મેં અહીં આવીને જ ખોયાં એનો મને