’
એટલામાં સુન્દરતાના શણગાર સજેલી સુન્દરી સમું શણગારેલું કન્યાવિદ્યામન્દિર આવી પહોંચ્યું.
બારણામાં જ અધિષ્ઠાત્રીએ અમને સત્કાર્યા. એમનો શક્કો આજ ઓર હતો. પાણીથી ન્હાય ને નીતરે એમ સૌન્દર્યથી એ જાણે ન્હાતાં ને નીતરતાં હતાં.
મ્હેં પૂછ્યું : ‘ એ સતી છે કે સુન્દરી ? હજી કુંવારાં તો છે.’
‘હવે છાલ છોડ ને ઉત્સવ માણ.’
‘જો : આજ તો યૂરોપમાં એવું છે કે રાજાની વહુ તે રાણી ખરી, પણ રાણીનો વર તે રાજા નહિ.’
‘એટલે ?’
‘એટલે એ કે મહેતાજીની પત્ની શાળાના ઉત્સવમાં મહાલે; પણ મહેતીજીને વર હોય તો કોઈક ખૂણાને શોભાવી મહેતીજીને માણતી નિહાળી રહે.’
અમે શાળામન્દિરમાં ગયા. સભાગૃહમાં પણ સુન્દરતા ચક્રવર્તી હતી.
‘પણ આજ આટલો યુવકવર્ગ કય્હાંથી ? બાળાઓનું પ્રદર્શન તો, મુખ્યત્વે, ત્હેમની માતાઓ કને હોયને ? ‘
‘યુવતિઓ પરણવાની છે યુવકોને ને ? એટલે યુવકસંઘને ન્હોતર્યો છે આજ. રહી જતા’તા એમણે માગી માગીને ન્હોતરાં લીધાં.’