ત્હેના વનરોપની ફૂલક્યારીઓ રચાતી હતી.
ને એના બ્હનેવીને ત્ય્હાં આવતા કોક રસમાળી એને રસજલની ઝારીઓ છાંટી જતા.
એમ વનની મટી વાડીની વેલી એ બની.
ને પછી ?
તે પછી જીવનના નાટકનો પડદો ઉપડ્યો ત્ય્હારે-ઓહો ! આ તો ગંગાજીનો ઘાટ ! આ તો કાશીવિશ્વેશ્વરનું પૃથ્વીપૂજ્ય મન્દિર ! કોટીધ્વજ કે ચક્રવર્તી-અંહિયાં તો સારી જનતાનાં શિર ઝૂકી પડે !
હા, એ વિશ્વવિખ્યત વારાણસી: પાંડવો ને દ્રોપદીજીની પદધૂલિથી પુણ્યવન્તી, હરિશ્ચન્દ્ર તારામતી ને બાલ રોહિતના સ્મરણસુગન્ધોથી આજે યે મ્હેકતી પૃથ્વીપ્રાચીન એ વારાણસી. બુદ્ધ ભગવાવા સ્તુપ ત્ય્હાં છે; શંકર ભગવાનના દિગવિજય, મેઘાડંબર શા, ત્ય્હાં ગાજ્યા હતા. આજે તો કેટલાંક પુણ્યને બદલે પાપના પોટલા એ તીર્થભૂમિમાંથી બાંધી લાવે છે; ને આંખો મીંચી વિચર્યે ત્ય્હાંનાં પુણ્યવન્તાંને પિછાનતાં યે નથી. ત્હો યે ભારતનાં પુણ્ય ને પવિત્રતાના ઓઘ સમી, પાપીઓનાં કંઇ કંઇ પાપ ને અપવિત્રતાઓ ધોઈ અન્યને ન અડકે માટે હૈયાસ્હોડમાં સંઘરી સાગરમાં પધરાવવા જતી, પતિતપાવની, પુનિત