જવું એ તો એક આશીર્વાદ છે. વાલજીભાઈ ઠક્કર જેવા તો કુટુંબે કુટુંબે હતા. ચોરે ને દાયરે નદીઓની વેકુરીમાં કે દુકાનોને ઓટે તેઓ બેસતા; નિવૃત્ત વૃદ્ધોને, પેન્શનરોને, સદાના ઓજારોને, બેકારોને, જુવાન દીકરા જેના ફાટી પડ્યા હોય તેવા હતાશ પિતાઓને, એક વાર સંપત્તિની ટોચે ચડીને પછી પટકાઈ પડેલાઓને, સમાજ જેમને ઓવાળમાં કાઢી નાખે છે તેવા સર્વને બાકીની આવરદા જીવવા જેવી કરી આપનાર આ વાતડાહ્યા વાલજી ઠક્કરો જ હતા.
જૂઠીબાઈ ખોજણ
વાલજીભાઈએ એક ‘જૂઠી બાઈ’ નો કિસ્સો ટપકાવ્યો છે તેનું ટાંચણ વાંચીને વિસ્મય પામું છું કે આજ સુધી એ વાર્તા મને કોઈ સંગ્રહમાં મૂકવા જેવી કેમ ન લાગી ! ચરોતરની પાટણ-વાડિયણ જી’બાની શ્રી. રવિશંકર મહારાજે કહેલી વાર્તા લખી છપાવું છું તેનાં પ્રુફ આજે જ વાંચ્યાં એટલે આ ‘જૂઠીબાઇ’ના ટાંચણનું આકર્ષણ બેવડાયું છે—
દેરડી જાનબાઈની. ત્યાં સવા ભગત ખોજા. બકાલાની વાડી. સાધુસંતને ખવરાવે. સદાવ્રત આપે.
ઘરમાં બાઇ માનબાઈ. એને સવા ભગત નામ લઈને બોલાવે.
જે રળે તે શેઠને ત્યાં જમા કરાવે. અષાઢી બીજે બધું ખલ્લાસ થાય. ઊલટું પાંચ પંદરનું નામું વધે.
એક દી’ સાધુ વાડીએ આવ્યા : કહે ‘કુછ દે.’
‘’ઘેર ચાલો.’
‘નહિ, ઇધર દે.’
‘દાળ અને લોટ દઉં ?’
‘ઓર ક્યા ?’
છાણાંનો આડ કરી બાટી પકાવી.