પૃષ્ઠ:Patra Lalsa.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪
પત્રદર્શન

મુજ ઉર ઝીલતી કંચુકીની ભાતડી પ્રિય તું જ છો !
મુજ સાડીમાં શોભતું શોભાવતું ગુલ તું જ છો !
'નાનાલાલ

મંજરીને મનાવવાના વ્યોમેશ અને લક્ષ્મીના પ્રયત્નો આમે મિથ્યા બનતા હતા. સ્ત્રીનું માન એ શૃંગારનું આવશ્યક અંગ છે એ સહુ કોઈ જાણે છે. પરંતુ એ માન ક્ષણિક મનાવાની છૂપી આકાંક્ષાથી ભરપૂર અને પતિનું વહાલ વધારવાના સાધન રૂપ હોય છે. એ માન દિવસોના દિવસો સુધી ચાલતું નથી. અને જો તે તેમ ચાલે તો પતિ થાકી જાય છે, કંટાળી જાય છે, બેદરકાર બની જાય છે, અગર ક્રૂર પશુમાં ફેરવાઈ જાય છે.

પત્ની આવું દિવસો ભરનું માન ધારણ કરવાની હિંમત કરતી જ નથી : પરિણીત જીવનની પ્રથમ ભૂમિકામાં તો નહિ જ. પતિ તેને અણગમતો હોય તો જ આવું પરિણામ આવે. વળી સ્ત્રીની સામાન્ય સમજ અણગમતા પતિને પણ ગમતો માનવા મંથન કરે છે. અને મોટે ભાગે તે સફળ થાય છે, પરંતુ કેટલાંક હઠીલાં હૃદયો સામાન્ય સમજને પણ ઓળખતાં નથી. અણગમતાપણાનું ભાન તેમનાથી ખસતું નથી. અણગમો સતત રહે છે જ; કદાચ તે વધે પણ ખરો.

પત્નીને મનાવવાના પ્રયત્નો કરી ચૂકેલો પતિ પત્નીના સતત અણગમાથી થાકે છે, કંટાળે છે, કંટાળ્યા પછી તેને પણ પત્ની તરફ તિરસ્કાર આવવો શરૂ થાય છે. જગત જેને અક્કલવાળાં, સમજવાળાં, રૂપવાળાં માને છે એવાં કંઈક સ્ત્રીપુરુષોનાં યુગલો ન સમજાય એવી રીતે જીવનભર પરસ્પરથી અળગાં બની જાય છે. પરસ્પરના અણગમાનું આ પરિણામ. માનવું નથી જ એમ નિશ્ચય કરી બેઠેલી માનિની પ્રત્યે પુરુષને અમુક સમય પછી જરૂર તિરસ્કાર આવવા જ માંડે છે, પછી ભલે તે માનિનીના મુખ ઉપર ચંદ્રની છબી ચિતરાઈ હોય, આંખમાં તારાઓએ ચળકાટ પૂર્યો હોય અને ગુલાબે તેના ગાલ ઉપર બિછાયત કરી હોય !

વ્યોમેશચંદ્ર પણ થાક્યા અને કંટાળ્યા. મંજરી તરફનો તેમનો તીવ્ર ભાવ ઓછો થવા લાગ્યો. તેમણે કામમાં જીવ પરોવવા માંડ્યો. ઘરમાં